બજેટમાં રૂ. ૮૦,૦૦૦ સુધીની વધારાની કરરાહત મળે તેવી સંભાવના
પગારદાર વર્ગ માટે આગામી બજેટમાં સુખદ આશ્ચર્યની સંભાવના : જૂની કાર વ્યવસ્થા હેઠળ સ્ટાન્ડર્ડ ડિડકશનમાં જંગી વધારો કરે તેવી સંભાવના
નવી દિલ્હી,તા.૨૮ : કોરોનાકાળમાં પીસાતા પગારદાર વર્ગ માટે આગામી બજેટમાં સુખદ આશ્ચર્યની સંભાવના જણાવાય રહી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામન આગામી બજેટમાં કુલ કર જવાબદારીમાં રૂ. ૮૦,૦૦૦ સુધીની વધારાની કરરાહત આપે તેવી સંભાવના સેવાઇ રહી છે.
ઉચ્ચ સ્તરીય સૂત્રોના જણાવ્યા અનુસાર બજેટની કવાયત દરમ્યાન કરવામાં આવેલી ચર્ચા અનુસાર જોઇએ તો મજબુત શકયતા છે કે આગામી બજેટમાં કરદાતાઓને તેમની કુલ કર જવાબદારી માંથી રૂ.૫૦,૦૦૦થી લઇને રૂ. ૮૦,૦૦૦ સુધીની કર રાહત મળી શકે ે. કેન્દ્ર સરકાર જૂની કર વ્યવસ્થા હેઠળ સ્ટાન્ડર્ડ ડિડકશનમાં જંગી વધારો કરે તેવી સંભાવના દર્શાવવામાં આવી રહી છે. જો કે કર નિષ્ણાંતો જણાવે છે કે લોકોમાં નવી કર વ્યવસ્થા માટે વધારે ઉત્સાહ જણાતો નથી તેથી તેને વધારે લોકપ્રિય બનાવવા માટે આગામી બજેટમાં નવી કર વ્યવસ્થા હેઠળ ટેકસ સ્લેબમાં ચોક્કસ ફેરફારો દાખલ કરવામાં આવે તેવી શકયતા છે, જેને પગલે કરદાતા વધારે કર ની બચત કરી શકે છે. હાલમાં દેશમાં ૬૦ વર્ષની વય ધરાવતા વ્યકિતગત કરદાતા માટે અઢી લાખ સુધીની આવક પર કોઇ કર લાગતો નથી ૨.૫ લાખથી પાંચ લાખ સુધી પાંચ ટકાના દરે કર લાગુ પડે છે, પાંચ લાખથી ૭.૫ લાખ સુધી ૧૦ ટકાના દરે કર લાગુ થાય છે. અને ૭.૫ લાખથી ૧૦ સુધીની આવક પર ૧૫ ટકાના દરે કર લાગુ થાય છે.