જીપીએફ પર ૭.૯ ટકા વ્યાજદરની જાહેરાત કરાઈ
નાણા મંત્રાલયે નોટિફિકેશન ઈશ્યુ કરી નવા વ્યાજદર જાહેર કર્યા
નવી દિલ્હી, તા. ૨૮ :. કેન્દ્ર સરકારે જાન્યુઆરી-માર્ચ કવાર્ટર માટે જનરલ પ્રોવિડન્ડ ફંડ (જીપીએફ) પર મળનારા નવા વ્યાજદરની જાહેરાત કરી છે. નાણા મંત્રાલયના આર્થિક વિભાગે એક નોટિફિકેશન ઈશ્યુ કરીને જણાવ્યુ છે કે જાન્યુઆરીથી માર્ચ-૨૦૨૦ માટે જીપીએફ પર ૭.૯ ટકાના દરે વ્યાજ મળશે.
જીપીએફ એ માત્ર સરકારી કર્મચારીઓ માટે એક પ્રકારનું રિટાયર્મેન્ટ પ્લાનિંગ છે, કારણ કે આ રકમ કર્મચારીને રિટાયર્મેન્ટ બાદ મળે છે. સરકારી કર્મચારી પોતાની સેલરીના ૧૫ ટકા સુધીની રકમ જીપીએફમાં જમા કરાવી શકે છે. મહેકમ, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયની વેબસાઈટ અનુસાર એક વર્ષ પુરૂ કરનાર હંગામી કર્મચારી, રિએમ્પ્લોઈડ પેન્શનર્સ અને તમામ કાયમી સરકારી કર્મચારી જીપીએફ-૧૯૬૦ હેઠળ આવે છે અને પેન્શન શરૂ થવાના ત્રણ મહિના પહેલા જ જીપીએફનું સબસ્ક્રિપ્શન બંધ થઈ જાય છે.જીપીએફ ખાતાનો એડવાન્સ ફિચર એ છે કે તેમા કર્મચારી જરૂર પડયે નિર્ધારિત રકમ ઉપાડી શકે છે અને પાછળથી તેમા જમા કરાવી શકે છે અને તેના પર કોઈ વ્યાજ લાગતું નથી. દર કવાર્ટરની શરૂઆત સાથે જ કેન્દ્ર સરકાર જીપીએફ તેમજ સ્મોલ સેવિંગ્સ સ્કીમ પર અપાતા વ્યાજદરને રિવાઈઝ કરે છે.