મુખ્ય સમાચાર
News of Friday, 27th November 2020

રાજકોટ કોવિડ હોસ્પિટલ આગ

CM રૂપાણીએ દુઃખ વ્યકત કર્યું : તપાસના આપ્યા આદેશ

રાજકોટ,તા. ૨૭: શહેરના માલવિયાનગર વિસ્તારમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં ૫ લોકોનાં મોત થયા છે. આ મામલા પર રાજયના મુખ્યમંત્રીએ ગંભીર નોંધ લઈ તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપવાની સાથોસાથ આગનો ભોગ બનેલા દર્દીઓના પરિવાર પ્રત્યે દુઃખ પણ વ્યકત કર્યું છે. ICU વોર્ડમાં જયારે આગ લાગી ત્યારે તેમાં ૧૧ દર્દી સારવાર લઈ રહ્યા હતા જેમાંથી ૫ દર્દીનાં મોત થયા છે. નોંધનીય છે કે પ્રાથમિક દૃષ્ટિએ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોય એવું કહેવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ઉદય શિવાનંદ હોસ્પિટલમાં લાગેલીમાં આગમાં ૫ જેટલા દર્દીઓના મૃત્યુ નિપજયા છે. ડીસીપી મનોજસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ માં કુલ ૩૩ જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. જે ૩૩ દર્દીઓ પૈકી ૧૧ દર્દીઓ આઇસીયુની અંદર સારવાર લઇ રહ્યા હતા. ત્યારે આગજનીના બનાવ આઈસીયુમાં શોર્ટસર્કિટ  થવાના કારણે લાગ્યો હતો.

ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના ICUમાંઆગ, ૫ દર્દીઓનાં મોત જે આગમાં આઇસીયુમાં સારવાર લઈ રહેલા ૧૧ પૈકી ૫ જેટલા દર્દીઓ આગજનીના બનાવ ના કારણે મૃત્યુ પામ્યા છે. હોસ્પિટલના અન્ય ફ્લોર પર સારવાર લઈ રહેલા ૨૨ દર્દીઓ તેમજ આઈસીયુમાંથી રેસ્કયુ કરવામાં આવેલા અન્ય છ દર્દીઓને કુવાડવા રોડ પર આવેલ ગોકુલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

બીજી તરફ, ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના તબીબ ડો. તેજસ કરમટાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગત સપ્ટેમ્બર માસમાં અમારી હોસ્પિટલને કોવિડ કેર શરૂ કરવાની પરવાનગી મળી હતી. અમારી હોસ્પિટલ પાસે ફાયર એનોસી સહિતના તમામ દસ્તાવેજી પુરાવાઓ છે. સમગ્ર આગજનીની જે દ્યટના છે તે સીસીટીવીમાં કેદ થવા પામી છે. આઈસીયુમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગજની નો બનાવ બનવા પામ્યો છે.

(9:32 am IST)