મુખ્ય સમાચાર
News of Wednesday, 27th November 2019

મહારાષ્ટ્રના મહાસંગ્રામમાં

અમિત શાહ નહિ શરદ પવાર સાબિત થયા 'ચાણકય'

૮૦ કલાકમાં ભાજપનું સપનું રગદોડી નાખ્યું: શરદ પવારે એવો પોલ ખોલ્યો કે ભાજપને ભારે પડી ગયો

નવી દિલ્હી, તા.૨૭: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ શરદ પવારે મહારાષ્ટ્રના રાજકીય દંગલમાં એવો ખેલ ખેલ્યો છે જેના કારણે તેઓ ભાજપના 'ચાણકય' મનાતા અમિત શાહ સામે ભારે પડ્યા છે. ૭૬ વર્ષના કદ્દાવર નેતાએ એવો ખેલ ખેલ્યો જે ભાજપ માટે ભારે પડી ગયો અને તેમાં ભત્રિજાની 'ઘર વાપસી' સાથે ભાજપે ત્રણ દિવસમાં જ સરકાર ગુમાવવી પડી. જયારે મંગળવારે ગઠબંધનના નેતા ઉદ્ઘવ ઠાકરેને પસંદ કરાઈ રહ્યા હતા ત્યારે હોટલની બહાર એકઠા થયેલા સમર્થકોએ 'મહારાષ્ટ્રમાં એક ટાઈગર, શરદ પવાર'ના નારા લાગી રહ્યા હતા.

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય દંગલમાં શિવસેનાએ કબજો હાંસલ કરી લીધો છે. હવે આજે ફલોર ટેસ્ટ બાદ શિવસેનાના ઉદ્ઘવ ઠાકરેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવશે. પવાર અસ્તિત્વની લડાઈ લડીને NCPને મજબૂત સ્થિતિમાં લઈ આવ્યા છે. ભત્રિજાએ પરિવાર સાથે વિદ્રોહ કરીને ભાજપ સાથે ૨૩ નવેમ્બરે સરકાર બનાવી હતી, પરંતુ તે લાંબું ટકયું નહીં અને શરદ પવારની જીત થઈ છે.

ઉદ્ઘવ ઠાકરે સાથે NCP અધ્યક્ષ શરદ પવાર

પવારની રણનીતિનું આ પરિણામ હતું કે ભાજપ સરકારનું અસ્તિત્વ ૮૦ કલાક સુધી જ ટકી શકયું. પવારે પારિવારિક દબાણ વધારીને ભત્રિજાને ઘરે લઈ આવવામાં સફળ થવાની સાથે DyCM તરીકે રાજીનામું અપાવવામાં પણ સફળ થયા. જોકે, પવારે રાજીનામાનું કારણ અંગત ગણાવ્યું છે. ભાજપમાં હડકંપ મચી ગયો છે. બીજી તરફ ફલોર ટેસ્ટ પર સુપ્રીમ કોર્ટના ચુકાદો આવ્યા બાદ ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ એકિટવ થઈ ગયું હતું. બહુમતી ના મળતી જોઈને ભાજપે ફડણવીસનું રાજીનામાનો વિચાર વધારે બહેતર સમજયો.

શરદ પવાર પોતાના ૫૨ વર્ષના રાજકીય કરિયરમાં સંરક્ષણ મંત્રી, લોકસભામાં નેતા પ્રતિપક્ષ અને ત્રણ વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા છે. પવાર ૭-૭ વખત મહારાષ્ટ્રના વિધાનસભા અને લોકસભામાં ચુંટાયા છે. તેઓ ૨૭ વર્ષની ઉંમરમાં પહેલી વખત ધારાસભ્ય બન્યા હતા અને ૩૮ વર્ષની ઉંમરમાં કોંગ્રેસની સરકાર પાડી દીધી હતી.

(11:36 am IST)