હું મોટા ભાઇને મળવા દિલ્હી પણ જઇશઃ ઉદ્ઘવ ઠાકરે
શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી સહિત અમિત શાહને પણ આમત્રંણ મોકલવામાં આવશે
મુંબઇ, તા.૨૭: મહારાષ્ટ્ર સરકારમાં મુખ્યમંત્રી પદ માટે શિવસેના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરેના નામની જાહેરાત પછી ઠાકરેએ બીજેપી સરકાર પર આકરી પ્રતિક્રિયા આપી છે. ત્રણે પક્ષોની સંયુકત બેઠકમાં ઠાકરેએ જણાવ્યું કે, જરુરત પડવા પર તમે અમને ગળે લગાવો છો અને જરુરત નથી હોતી ત્યારે છોડી દો છો. તમે અમને દૂર રાખવાના પ્રયત્ન કર્યા. મેં કયારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે, રાજયનું સંચાલન કરીશ. આ દરમિયાન ઠાકરેએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો આભાર વ્યકત કર્યો હતો.
જો કે તેમના સંબોધનમાં ઠાકરેએ એક ખાસ વાત કરી હતી, તેમણે કહ્યું કે હું મોટા ભાઇને મળવા માટે દિલ્હી પણ જઇશ. ઠાકરેનું મોટા ભાઇવાળુ સંબોધન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે તેમની મુલાકાતના સંકેત માનવામાં આવે છે.
શિવસેના પ્રમુખે જણાવ્યું કે, હું દેવેન્દ્ર ફડણવીસ દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ સવાલોના જવાબ આપવા માટે તૈયાર છું. મને કોઇ બાબતનો ડર નથી. બાકી મારા હિન્દુત્વમાં કોઇપણ પ્રકારનું જુઠ્ઠાણુ નથી. બેઠકને સંબોધન કરતા ઠાકરેએ જણાવ્યું કે મુખ્યમંત્રી શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી સહિત અમિત શાહને પણ આમંત્રિત કરવામાં આવશે.
નોંધનીય છે કે ઠાકેર હાલમાં ધારાસભ્ય નથી. મુખ્યમંત્રી બન્યા પછી છ મહિનાની અંદર તેમણે વિધાનસભા કે વિધાન પરિષદના સભ્ય બનવું જરુરી છે.
આ સમગ્ર ઘટનામાં ખાસ બાબત એ છે કે, પહેલી વાર ઠાકરે પરિવારમાંથી કોઇ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનશે. અત્યાર સુધી ઠાકરે પરિવાર ચૂંટણીથી દૂર રહેતુ હતું. પરંતુ આ વિધાનસભામાં પરંપરા તોડતા આદિત્ય ઠાકરેને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા.