મુખ્ય સમાચાર
News of Tuesday, 27th October 2020

બિહારની જનતાને સોનિયા ગાંધીનો સંદેશ :સત્તા અને અહંકારમાં ડુબેલી સરકાર પોતાના રસ્તેથી ભટકેલી છે

બિહારના હાથોમાં ગુણ છે, તાકાત છે પરંતુ સરકારે બેરોજગારી, પલાયન, મોંઘવારીએ આંખોમાં આંસૂ અને પગમાં છાલા આપ્યા

નવી દિલ્હી :કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મંગળવારે સવારે બિહારના વોટરોના નામે એક સંદેશ આપ્યો છે, જેમાં તેઓએ હાલની નીતિશ સરકાર પર નિશાન સાધતા આ વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનો સાથ આપવાની અપીલ કરી છે.

સાથે જ સોનિયાએ કહ્યું કે, હવે બિહારમાં પરિવર્તનની હવા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર સોનિયા ગાંધીના આ સંદેશને જારી કર્યો છે. સોનિયા ગાંધીનો આ સંદેશ બિહારમાં પહેલા ચરણના મતદાનના ઠીક એક દિવસ પહેલા આવ્યો છે.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે, દિલ્હી-બિહારમાં બંધક સરકારો છે, નોટબંધી-તાળાબંધી, વેપારબંધી, આર્થિકબંધી, ખેતરબંધી, રોજગારબંધી. તેથી બિહારની પ્રજા આવી બંધક સરકાર સામે તૈયાર છે અને હવે પરિવર્તનની હવા તૈયાર છે.

વીડિયો સંદેશમાં સોનિયા ગાંધીએ કહ્યું, 'આજે બિહારમાં સત્તા અને અહંકારમાં ડુબેલી સરકાર પોતાના રસ્તેથી અલગ હટી ગઈ છે, ના તેમની કથની સારી છે અને ના તો કરની. મજૂર, ખેડૂત, નૌજવાન આજે પરેશાન અને નિરાશ છે. અર્થવ્યવસ્થાની નાજુક સ્થિતિ લોકો પર ભારે પડી રહી છે.'

સોનિયાએ પોતાના સંદેશમાં કહ્યું કે, ધરતીના દીકરાઓ પર આજે ગંભીર સંકટ છે, દલિત-મહાદલિતોને બેહાલીની કગાર પર છોડી દેવામાં આવ્યા છે. સમાજનો પછાત વર્ગ આ જ ખરાબ પરિસ્થિતિનો શિકાર છે, બિહારની જનતાનો અવાજ કોંગ્રેસ-મહાગઠબંધનની સાથે છે.

લગભગ પાંચ મિનિટના સંદેશમાં સોનિયા ગાંધીએ આગળ કહ્યું કે, બિહારના હાથોમાં ગુણ છે, તાકાત છે પરંતુ બેરોજગારી, પલાયન, મોંઘવારીએ આંખોમાં આંસૂ અને પગમાં છાલા આપ્યા છે. જે શબ્દ કહી નથી શકાતા તેને આંસુઓથી કહેવા પડે છે.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયાએ કહ્યું કે ભય, ડરના આધાર પર નીતિઓ નથી બનાવી શકાતી, બિહાર ભારતનું દર્પણ છે, આ ભારતની શાન અને અભિમાન છે. સોનિયા ગાંધીએ કહ્યું કે હવે સવાલ બેરોજગારી, ખેતી બચાવવી, સ્વાસ્થ્ય, શિક્ષણનો છે.

(11:36 am IST)