કોરોના સામે જંગ : નોઈડા,મુંબઈ અને કોલકાતામાં હાઈટેક લેબ,નું પીએમ મોદી દ્વારા વીડિયો કૉન્ફરન્સથી ઉદ્ધાટન
કોરોના ઉપરાંત અન્ય બીમારીઓનું પણ ટેસ્ટિંગ થઈ શકશે
નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી નોઈડા, મુંબઈ અને કોલકત્તામાં હાઈટેક લેબનું ઉદ્ઘાટન કરશે
આ કાર્યક્રમમાં સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન,ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ સામેલ થશે.
દેશમાં જીવલેણ મહામારી સામે ચાલી રહેલી જંગમાં વધુ ઝડપ લાવવા માટે કોરોના ટેસ્ટિંગની આ નવી અને અધ્યતન લેબ ખોલવામાં આવી રહી છે. આ લેબની સુવિધાથી દેશમાં કોરોનાના ટેસ્ટિંગની ક્ષમતા વધશે. આ સાથે જ સમયસર બીમારીની જાણ થવાથી લોકોને સમયસર સારવાર મળી શકશે. જેથી મહામારીના સંક્રમણને ફેલાતુ અટકાવવામાં મદદ મળશે.
આ લેબમાં કોરોના ઉપરાંત અન્ય બીમારીઓનું પણ ટેસ્ટિંગ થઈ શકશે. મહામારીના સમાપ્ત થયા બાદ પણ હિપેટાઈટિસ બી અને સી, HIV, ટીબી અને ડેન્ગ્યૂ સહિતની અનેક બીમારીઓનું પણ ટેસ્ટિંગ કરવામાં આવશે. આ લેબની બનાવટ એ પ્રકારની છે, જેનાથી લેબમાં કામ કરી રહેલા સ્ટાફને સંક્રમિત વસ્તુઓના સંપર્કમાં આવવાની કોઈ જરૂર નહી પડે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં પ્રતિદિન સામે આવી રહેલા પોઝિટિવ કેસના આંકડામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. જેનું મુખ્ય કારણ વધુમાં વધુ કોરોના ટેસ્ટિંગ કરવાનું છે. છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે.