મુખ્ય સમાચાર
News of Monday, 27th July 2020

કોરોનાના દર્દીઓને ઝડપી શોધવા ઈઝરાયેલ- ભારત સાથે કામ કરશે

ગણતરીના કલાકોમાં ટેસ્ટના પરિણામ મળશે: ઈઝરાયલ- ભારત સાથે મળી કામ કરશે: વોઈસ ટેસ્ટ, બ્રેથ એનેલાઇઝર ટેસ્ટ, આઇસોથર્મલ ટેસ્ટ, પોલિમીનો એસિડના મદદથી કોરોનાના ટેસ્ટ કરાશે

અમદાવાદ/ સુરત, તા. ૨૬ : ઈઝરાયલ અને ભારત કોવિડ-૧૯ પરીક્ષણોની નવી તકનીક પર કામ કરશે. કોરોનાના દર્દીઓને ઝડપથી શોધી શકાય અને તાત્કલિક રિપોર્ટના પરિણામ મળી શકે તે દિશામાં કામગીરી થઈ રહી છે. ઈઝરાયલ ભારત સાથે મળીને ચાર તકનીકો પર કામગીરી કરશે. જેમાં વોઈસ ટેસ્ટ, બ્રેથ એનેલાઇઝર ટેસ્ટ, આઇસોથર્મલ પરિક્ષણ, પોલિમીનો એસિડના મદદથી કોરોનાના ટેસ્ટ કરાશે. કોરોના પરીક્ષણ પ્રક્રિયાને વિશ્વસનીય રીતે ઝડપથી પૂર્ણ કરવામાં મદદ મળશે.

ઈઝરાયલ અને ભારત દ્વારા કૃત્રિમ બુદ્ધિ અને મશીન લર્નિંગનો કરાશે. ઈઝરાયલની આ પ્રગતિશીલ તકનીકનું પરીક્ષણ ભારતમાં કરાશે. માત્ર ગણતરીની સેકન્ડમાં કોરોના ટેસ્ટના પરિણામ મળી જશે. ૧ ટેસ્ટ ૫૦૦ રૂપિયાથી ૧ હજારની કિમંતમાં પરિણામ આપશે.

જો આ તકનીક સફળ થાય તો ભારતમાં તેનું ઉત્પાદન કરાશે. આ ચાર તકનીકોનું ઈઝરાયલ અને ભારત સંયુક્ત રીતે વિશ્વમાં માર્કેટિંગ કરશે. ભારતના DRDO સાથે સંકલન સાધીને ઈઝરાયલની ટીમ પરીક્ષણ કરશે. આ ૪ તકનીક સફળ બનશે તો ભારત સહિત કોરોના સામેના યુદ્ધમાં વિશ્વને મોટી મદદ મળશે.

ડોક્ટર મુકેશ મહેશ્વરીએ વધુમાં જણાવ્યું કે, કોરોના વાયરસ સામે લડવા એન્ટીબોડી ટેસ્ટ મહત્વપૂર્ણ બની રહેશે. કોરોના પોઝિટિવ બાદ સજા થયેલા અને ફ્રન્ટલાઈન વોરિયર્સ માટે એન્ટીબોડી ટેસ્ટ મહત્વપૂર્ણ બનશે. IGG ટેસ્ટના માધ્યમથી કોરોના સામે લડવા એન્ટીબોડી શરીરમાં બની કે નહીં તે જાણી શકાય છે. મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ, પોલીસના જવાનો, સફાઈકર્મીઓ તથા અન્ય ફ્રન્ટલાઈન વોરિયર્સ માટે IGG ટેસ્ટ મહત્વપૂર્ણ બની રહેશે.

અમદાવાદમાં SVP હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ અને રેડ ક્રોસમાં IGG ટેસ્ટ થાય છે. ૭૦૦ થી ૯૦૦ રૂપિયાના ખર્ચમાં IGG ટેસ્ટ કરાવવો શક્ય બનશે. IGG ટેસ્ટ પોઝિટિવ વ્યક્તિ કોરોના વાયરસથી મહદઅંશે નિશ્ચિત રહી શકે છે. કોરોનાને માત આપી હોય અથવા ફ્રન્ટલાઈન વોરીયર્સ IGG ટેસ્ટ કરાવી શકશે.

ચાર ટેસ્ટ વિશેની માહિતી

૧.      વોઇસ ટેસ્ટ : આ ઓનલાઇન વોઇસ પરીક્ષણ કૃત્રિમ બુદ્ધિ પર આધારિત છે. આ પરીક્ષણ માનવ અવાજના રેકોર્ડિંગનું વિશ્લેષણ કરશે અને તેનો હેતુ દર્દીના અવાજમાં થતા ફેરફારો અથવા તેની શ્વસન પ્રણાલીની સ્થિતિમાં થતા ફેરફાર મુજબ પરિણામ આપશે.

૨.      બ્રેથ એનેલાઇઝર પરીક્ષણ : ટેરા- હર્ટ્ઝ તરંગો પર આધારિત આ તપાસ હશે. આર એન્ડ ડી પ્રોગ્રામના ભાગ રૂપે, અધિકારીઓએ ટીએચઝેડ તરંગોનો ઉપયોગ કરીને વાયરસ શોધવાની સિસ્ટમ વિકસાવશે. દર્દીએ જંતુરહિત નમૂનાની કીટમાં શ્વાસ લેવાનો રહેશે, ત્યારબાદ કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કરીને તેના નમૂનાનું વિશ્લેષણ કરવામાં આવશે.

૩.      આઇસોથર્મલ પરીક્ષણ : આ એક બાયોકેમિકલ પરીક્ષણ પદ્ધતિ છે, જે લાળના નમૂનામાં વાયરસની શોધને સક્ષમ કરે છે. એક સસ્તી સેમ્પલ કીટ વિકસિત કરવામાં આવી છે, જે રાસાયણિક પ્રતિક્રિયાની મદદથી વાયરસની હાજરી શોધી કાઢશે. માત્ર ૩૦ મિનિટની અંદર કોરોના ટેસ્ટનું પરિણામ આપશે.

૪.      પોલિમિનો એસિડનો ઉપયોગ કરીને પરીક્ષણ : આ એક બાયોકેમિકલ પદ્ધતિ છે, જે લાળના નમૂનામાં એકત્રિત થયેલા કોરોના વાયરસ પ્રોટીનની શોધને સક્ષમ કરે છે. યોગ્ય સાધનનો ઉપયોગ કરી નમૂનાનું વિશ્લેષણ ઘણી ઓછી મિનિટમાં થઈ જશે.

(8:22 am IST)