કોંગ્રેસ શાસિત રાજસ્થાન ઉપર અંબાણી - અદાણીની કૃપા વરસી : ૧.૬૮ લાખ કરોડના રોકાણની તૈયારી
રાહુલ સહિતના નેતાઓ કેન્દ્ર ઉપર પ્રહાર કરવા અંબાણી - અદાણીનો સહારો લ્યે છે
નવી દિલ્હી તા. ૨૭ : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર પ્રહાર કરવા માટે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના ઘણા નેતાઓ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીના નામનો આશરો લે છે. કોંગ્રેસીઓ તેને અંબાણી-અદાણીની સરકાર કહે છે. જો કે, રાજસ્થાનમાં અશોક ગેહલોતની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકાર દ્વારા ‘ઇન્વેસ્ટ રાજસ્થાન' આઉટરીચ પ્રોગ્રામ હેઠળ સૌથી મોટી રોકાણ દરખાસ્તો મળી છે જેમાં ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી જૂથ અને મુકેશ અંબાણીની આગેવાનીવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો સમાવેશ થાય છે.
આમ છતાં પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ પર કેન્દ્રમાં ક્રોની કેપિટલિઝમનો આરોપ લગાવ્યો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં લોકસભામાં તેમણે અદાણી અને અંબાણીને ભારતીય અર્થતંત્રમાં ફેલાતા ‘ડબલ એ વેરિઅન્ટ્સ' તરીકે વ્યાખ્યાયિત કર્યા હતા. તેમણે અગાઉ પણ કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની સરકાર પર આવો જ પ્રહાર કર્યો હતો.
ડેટા અનુસાર, રિલાયન્સ ન્યૂ એનર્જી સોલાર લિમિટેડ (રૂ. ૧,૦૦,૦૦૦ કરોડ), અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (રૂ. ૬૦,૦૦૦ કરોડ), અદાણી ઇન્ફ્રા લિમિટેડ (રૂ. ૫,૦૦૦ કરોડ), અદાણી દ્વારા ડિસેમ્બર ૨૦૨૧ અને માર્ચ ૨૦૨૨ વચ્ચેના રોકાણની ઓફર કરવામાં આવી હતી. તેમાં ટોટલ ગેસ લિમિટેડ (રૂ. ૩,૦૦૦ કરોડ) અને અદાણી વિલ્મર લિમિટેડ (રૂ. ૨૪૬.૦૮ કરોડ)નો સમાવેશ થાય છે.
રાજસ્થાન BoIP દ્વારા લિસ્ટેડ ૪,૦૧૬ સંસ્થાઓમાં JSW ફયુચર એનર્જી લિમિટેડ (રૂ. ૪૦,૦૦૦ કરોડ), વેદાંત ગ્રૂપની સ્ટરલાઇટ પાવર ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ (રૂ. ૪૦,૦૦૦ કરોડ), વેદાંત ગ્રૂપની હિન્દુસ્તાન ઝિંક કેઇર્ન (રૂ. ૩૩,૩૫૦ કરોડ)નો સમાવેશ થાય છે. તેમાં એનર્જી વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ (રૂ. ૩૦,૦૦૦ કરોડ), એક્સિસ એનર્જી (રૂ. ૩૦,૦૦૦ કરોડ), ઇડન-રિન્યુએબલ્સ (રૂ. ૨૦,૦૦૦ કરોડ) અને ટાટા પાવર (રૂ. ૧૫,૦૦૦ કરોડ)નો સમાવેશ થાય છે.
રાજસ્થાને આ વર્ષે જાન્યુઆરીમાં ‘ઇન્વેસ્ટ રાજસ્થાન સમિટ'નું આયોજન કરવાની યોજના બનાવી હતી, પરંતુ કોરોનાને કારણે તે મોકૂફ રાખવામાં આવી હતી. પ્રસ્તાવિત સમિટ પહેલા મુખ્યમંત્રી ગેહલોત ગૌતમ અદાણી સહિત અનેક ઉદ્યોગપતિઓને મળ્યા હતા. સમિટ હવે જયપુરમાં ૭-૮ ઓક્ટોબરે યોજાવાની છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ દેશની અર્થવ્યવસ્થા “AA” (અંબાણી-અદાણી)ના હાથમાં જવાની વાત કરી હતી. ડિસેમ્બર ૨૦૨૧ માં, ભાવ વધારાના વિરોધમાં જયપુરમાં એક રેલીને સંબોધિત કરતી વખતે, તેમણે કહ્યું હતું કે, ‘અચ્છે દિન આવી ગયા છે. જેમના માટે? તે ‘અમે બે, અમારા બે' માટે વપરાય છે. એરપોર્ટ હોય, બંદર હોય, કોલસાની ખાણ હોય, ટેલિફોન હોય, સુપરમાર્કેટ હોય, તમે જયાં જુઓ ત્યાં તમને બે વ્યક્તિઓ જોવા મળશે, અદાણીજી અને અંબાણીજી. તે તેમની ભૂલ નથી. જો તમને કોઈ વસ્તુ મફતમાં મળી હોય, તો શું તમે ના પાડશો? ના, તમે નહીં કરો. આ તેમની ભૂલ નથી, વડા પ્રધાનની ભૂલ છે.'