આગામી બે-ત્રણ દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળમાં પહોંચશે : હવામાન વિભાગની આગાહી
નવી દિલ્હી :આગામી બે-ત્રણ દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળ પહોંચે તેવી શક્યતા છે. અગાઉ, ભારતીય હવામાન વિભાગ (IMD) એ પખવાડિયા પહેલા બંગાળની ખાડીમાં આવેલા ચક્રવાતી તોફાન ‘આસાની’ની અસરને કારણે શુક્રવારે કેરળમાં ચોમાસાની શરૂઆત થવાની આગાહી કરી હતી. આગાહીમાં ચાર દિવસની ‘મોડલ’ ભૂલ હતી.
વિભાગે જણાવ્યું હતું કે, “હવામાન સંબંધિત નવા સંકેતો મુજબ, પશ્ચિમી પવનો દક્ષિણ અરબી સમુદ્રના નીચલા સ્તરોમાં તીવ્ર બન્યા છે. સેટેલાઇટ તસવીરો અનુસાર કેરળનો તટ અને તેની નજીકનો દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર વાદળછાયું છે. આથી આગામી બે-ત્રણ દિવસ દરમિયાન કેરળમાં ચોમાસાની શરૂઆત માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે.
ચોમાસું 16 મેના રોજ આંદામાન અને નિકોબાર ટાપુઓ પર પહોંચ્યું હતું, તે સમય કરતાં ઘણું આગળ હતું અને ચક્રવાતની બાકી રહેલી અસરને કારણે, તે આગળ વધવાની ધારણા હતી. યુકે સ્થિત યુનિવર્સિટી ઓફ રીડિંગના સંશોધક અક્ષય દેવરાસે ટ્વિટર પર જણાવ્યું હતું કે, “ચોમાસું હવે કેરળના અક્ષાંશ પર પહોંચી ગયું છે. જો કે, રાજ્યમાં વરસાદ હજુ ચોમાસાની શરૂઆતની જાહેરાત કરવા યોગ્ય નથી. વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન કેરળ અને લક્ષદ્વીપમાં હળવા/મધ્યમ વરસાદ અને આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં હળવા વરસાદની આગાહી કરી છે.