મુખ્ય સમાચાર
News of Monday, 27th May 2019

કાશી વિશ્વનાથના મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી વિશેષ પૂજા

અમિત શાહ અને યોગી આદિત્યનાથ સાથે રહ્યા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વારાણસી પ્રવાસને લઇ લોખંડી સુરક્ષા વ્યવસ્થા

વારાણસી,તા. ૨૭ : લોકસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ નરેન્દ્ર મોદી આજે કાશી વિશ્વનાથ મંદિરમાં પહોંચ્યા હતા જ્યાં ભગવાન શિવની પૂજા અર્ચના કરી હતી. મોદીએ સમગ્ર વિધિવિધાન સાથે ભગવાન શિવની પૂજા કરી હતી. મોદી ત્યારબાદ કાશી વિશ્વનાથ મંદિરમાં ભગવાન શિવની આરાધનામાં પણ થોડાક સમય સુધી રહ્યા હતા. તેમની સાથેભાજપ પ્રમુખ અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ રહ્યા હતા. મોદીનો કાફલો કાશી વિશ્વનાથ મંદિર તરફ વધ્યો ત્યારે તેમની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. રસ્તામાં લોકોએ મોદીનું અભિવાદન કર્યું હતું. મોદીએ પણ હાથ હલાવીને લોકોનો અભિવાદન સ્વીકાર્યું હતું. ભાજપ પ્રમુખ અમિત શાહ પણ તે વખતે ઉપસ્થિત રહ્યા હતા. તે પહેલા સવારે મોદી ખાસ વિમાન મારફતે વારાણસીના બાબતપુર એરપોર્ટ પર પહોંચી ગયા હતા જ્યાં ભાજપ પ્રમુખ અમિત શાહ, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ રામ નાયક, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યં હતું. મોદીના વારાણસી પ્રવાસને ધ્યાનમાં લઇને સુરક્ષા મજબૂત કરાઈ હતી.

(7:34 pm IST)