ઓસીની ભારતથી આવનારી ફ્લાઈટો પર ૧૫ સુધી રોક
ભારતમાં કોરોનાના વધતા કેસોથી વિશ્વની ચિંતા : આ પહેલા બ્રિટન, ઓમાન, ન્યૂઝીલેન્ડ સહિત વિશ્વના ઘણા દેશોએ ભારતથી આવનાર ફ્લાઈટ બેન લાગુ કરી ચુક્યા
પર્થ, તા. ૨૭ : ઓસ્ટ્રેલિયાએ કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને ભારતથી આવનારી તમામ ડાયરેક્ટ ફ્લાઈટ પર ૧૫ મે સુધી રોક લગાવી દીધી છે.ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસને કહ્યુ હતુ કે, ભારત યાત્રાના પગલે ઉભા થનારા સંભવિત કોરોનાના ખતરાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, આ પહેલા બ્રિટન, ઓમાન, ન્યૂઝીલેન્ડ સહિતના દુનિયાના ઘણા દેશો ભારતમાં વધી રહેલા કોરોના કહેર વચ્ચે ભારત પર ફ્લાઈટ બેન લાગુ કરી ચુક્યા છે. જેના કારણે આ દેશોમાં રહેનારા ભારતીય મૂળના લોકોને પરેશાનીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.
ઓસ્ટ્રેલિયાઈ સરકારના નિર્ણયથી ભારતમાં રહેનારા હજારો ઓસ્ટ્રેલિયાઈ નાગરિકો ફસાઈ ગયા છે. જેમાં આઈપીએલ રમવા આવેલા ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પણ સામેલ છે.
આ અગાઉ કોરોના સામેના જંગામં ભારતને મદદ કરવા માટે ઓસ્ટ્રેલિયાએ ભારતને ઓક્સિજન સપ્લાય, પીપીઈ કિટ, વેન્ટિલેટર મોકલવા માટે વાયદો કર્યો છે. જોકે ભારતે દુનિયાના એવા ૨૮ દેશો છે જેની સાથે કોરોનાને ધ્યાનમાં રાખીને એર બબલ કરાર કરેલા છે. જેનાથી આ દેશોમાં ભારતના લોકોને એન્ટ્રી મળી શકે છે.