હાય રે કોરોના તું કયાં જઇને અટકશે ???
મોક્ષનગરી વારાણસીમાં અંતિમક્રિયાનો પણ વેપાર
કાંધ આપવાના પણ ૪-૪ હજાર રૂપિયા
વારાણસી,તા. ૨૭ : કોરોના સંક્રમણથી જીવ ગુમાવનારાઓની સંખ્યા રોજે રોજ વધતી જાય છે. સ્મશાન ઘાટો પર અંતિમ સંસ્કાર સતત ચાલુ જ છે. સ્થિતી એવી છે કે અંતિમ સંસ્કાર માટે કલાકો સુધી રાહ જોવી પડે છે. એટલુ જ નહીં તેના માટે ભારે કિંમત પણ ચુકવવી પડે છે. કોરોનાની આ આપતિ પણ તક શોધીને પોતાના સ્વજનનોને ગુમાવવાની વ્યથા ભોગવી રહેલા લોકો પાસેથી નાણા ઉઘરાવાઇ રહ્યા છે.
પરિસ્થિતી એવી છે કે નનામીને કાંધ આપવાની પણ કિંમત વસૂલાઇ રહી છે. વારાણસીના સ્મશાન ઘાટ પર સામાન્ય દિવસોમાં ૪ થી ૫ હજાર રૂપિયાનો ખર્ચ થતો હોય છે. પણ સંકટના આ સમયમાં અનેક ગણી રકમ વસૂલાય છે.
એવા કેટલાય દાખલા છે, જેમાં કોરોનાથી સ્વજનનું મોત થયા પછી તેના અંતિમ સંસ્કાર માટે ઘાટ પર અર્થીને કાંધ આપવાના ૩૫૦૦ થી ૪૦૦૦ રૂપિયા ચુકવવા પડ્યા હોય. તો બીજી તરફ સ્મશાન ઘાટ પર અંતિમ સંસ્કાર માટે મોં માગ્યા પૈસા વસુલવાની ઘટનાઓ પણ જાહેર થઇ ચૂકી છે. હરિશ્ચંદ્ર ઘાટ પર અંતિમ સંસ્કાર માટે ૧૦ હજારથી માંડીને ૨૫ હજાર રૂપિયા સુધી ઉઘરાવાતા હોવાના આક્ષેપો થયા છે.