મુખ્ય સમાચાર
News of Tuesday, 27th April 2021

શું રાષ્‍ટ્રીય લોકડાઉનનો સમય આવી ગયો ?

કોરોનાના પ્રકોપથી દેશની સ્‍થિતિ નાજુક : હેલ્‍થ સિસ્‍ટમ પર પડયો બોજ

નવી દિલ્‍હી તા. ૨૭ : દેશમાં જે રીતે કોરોનાના કેસની સંખ્‍યામાં વધારો થઇ રહ્યો છે અને હોસ્‍પિટલો પર દબાણ પણ વધવા લાગ્‍યું છે. આ બધાની વચ્‍ચે ફરી એક ચર્ચાનો વિષય બન્‍યો છે કે શું એક વખત ફરી નેશનલ લોકડાઉન થવું જોઇએ. કારણ કે કેટલાંય રાજય પોતાને ત્‍યાં સંપૂર્ણ કે મિની લોકડાઉન પહેલાં જ લગાવી ચૂકયા છે પરંતુ કોરોનાની સ્‍થિતિમાં સુધારો દેખાઇ રહ્યો નથી. એવામાં સંપૂર્ણ લોકડાઉનને લઇ એક્‍સપર્ટસનું શું કહેવું છે એક વખત જાણીએ.

PHFI બેંગલુરૂના પ્રોફેસર ગિરિધર બાબુનું કહેવું છે કે તેમને લાગે છે કે નેશનલ લોકડાઉન કોઇ વિકલ્‍પ નથી કારણ કે આપણે આ વાયરસના ફેલાવાની રીત જાણતા નથી. આપણે સમજવું પડશે કે એપીસેન્‍ટર્સ શું છે. જેમ કે કર્ણાટરમાં બેંગલુરૂ છે, એવામાં આખા રાજય પર લોકડાઉન લગાવું યોગ્‍ય રહેશે નહીં.

પ્રોફેસર ગિરિધરે કહ્યું કે આપણે કંટેનમેન્‍ટ ઝોનમાં સફળ થયા નથી. લોકડાઉન શહેર કે જિલ્લા સ્‍તર પર બરાબર છે. આપણે નંબર ઘટાડવા પર જોર આપવું જોઇએ જેથી કરીને હોસ્‍પિટલો પર બોજ ઓછો થાય. લોકડાઉનથી માત્ર સ્‍પીડ ઓછી થશે પંરતુ કંટેનમેન્‍ટ મદદ કરશે.

કર્ણાટક સરકારના કોવિડ ટાસ્‍ક ફોર્સના સભ્‍ય ડો.વિશાલ રાવનું કહેવું છે કે લોકડાઉન તમને તૈયારીનો સમય આપે છે પરંતુ લોકડાઉન માટે પણ તૈયારી જરૂરી છે. અત્‍યારે ઓક્‍સિજન ડિમાન્‍ડ ડબલ થઇ ગઇ છે. જે કર્ણાટકમાં લોકડાઉનનો એક મોટો સંકેત છે. લોકડાઉન દરમ્‍યાન વેક્‍સીનેશનની સ્‍પીડ ધીમી પડી શકે છે એવામાં રણનીતિમાં ફેરફારની જરૂર છે.

નવી દિલ્‍હીના ડો.શાહિદ જમીલનું માનવું છે કે નેશનલ લોકડાઉન લગાવાથી કોઇ ઉકેલ આવશે નહીં. જયાં કોરોનાનો કહેર વધુ છે ત્‍યાં પ્રતિબંધની જરૂર છે. અમે જોયું કે લોકડાઉનથી પાછલી વખતે શું થયું હતું. એવામાં લોકોની રોજીરોટીનું પણ ધ્‍યાન રાખવું જરૂરી છે. લોકડાઉનની સીધી અસર મજૂરી કરીને રોજ કમાનાર અને રોજ ખાનાર લોકોને અસર પડે છે.

મુંબઇમાં કેયર રેટિંગ્‍સના ચીફ ઇકોનોમિસ્‍ટ મદન સબનવીસનું કહેવું છે કે જયારે પાછળી વખત નેશનલ લોકડાઉન હતું ત્‍યારે ખૂબ ઓછા કેસ હતા. લોકડાઉન કરવાની પણ એક પદ્ધતિ હોય છે પરંતુ સરકારની પાસે લોકોને રાહત આપવાનો બીજો ઉપાય નથી. આપણે આશા વ્‍યકત કરવી જોઇએ કે લોકલ લોકાઉન કોરોનાની ચેનને તોડે.

ઉલ્લેખનીય છે કે કોરોનાની સ્‍પીડ બેકાબૂ થવાથી કેટલાંય રાજયોએ પોતાના સ્‍તર પર પ્રતિબંધો મૂકી દીધા છે. દિલ્‍હી, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્‍થાને ૧૫-૧૫ દિવસના પ્રતિબંધ મૂકી દીધા. યુપી-એમપીમાં વીકેન્‍ડ લોકડાઉન અને નાઇટ કફર્યુ લગાવ્‍યું છે. એવામાં નેશનલ લોકડાઉનની પણ અટકળો કરાય રહી હતી.

(10:48 am IST)