કેદારનાથ કપાટ ઉત્સવમાં વિભાવરી દવે હાજર રહેશે
મોદીના હસ્તે કપાટ ઉત્સવ યોજાશે
અમદાવાદ,તા.૨૭ : હિમાલયની ગોદમાં બિરાજમાન કેદારનાથ મહાદેવના દર્શન કરવાની તમામ ભારતીયોની અદમ્ય ઈચ્છા હોય છે. છ માસ જેવો લાંબો સમય રહ્યા બાદ પ્રતિવર્ષ એપ્રિલ માસના અંત ભાગમાં કેદારનાથજીના દર્શન ખુલે છે. આ વર્ષે તા. ૨૯.૪.૨૦૧૮થી તા. ૦૫.૦૫.૨૦૧૮ સુધી કેદારનાથ મંદિરનો કપાટ ખુલવાનો મહોત્સવ કપાટઉત્સવ યોજાનાર છે. તા. ૨૯.૪.૨૦૧૮ના રોજ કપાટોત્સવની વિધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થનાર છે. આ પવિત્ર અવસરે ગુજરાત સરકારના પ્રતિનિધિ તરીકે રાજ્યના યાત્રાધામ વિકાસના મંત્રી સુશ્રી વિભાવરીબેન દવે ઉપસ્થિત રહેશે અને આ અમૂલ્ય ક્ષણના સાક્ષી બનશે તથા લાઈટ એન્ડ સાઉન્ડ શૉ લેસર શો ખુલ્લુ મુકશે. જેમાં ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ઉપરાંત અન્ય રાજ્યોના મુખ્યપ્રધાનો કે મંત્રીઓ ઉપસ્થિત રહેનાર છે. આ ઉપરાંત, કેદારનાથ મંદિરના ઈતિહાસ ઉપર આધારિત લાઇટ સાઉન્ડ શૉ લેસર શૉ આદિ અનંત શિવનો શુભારંભ પણ આ દિવસે રાખવામાં આવેલ છે. ગુજરાત રાજ્ય ઉત્તરાખંડ સરકાર સાથે આ સમગ્ર કાર્યક્રમના પ્લેટિનમ પાર્ટનર તરીકે જોડાયેલ છે અને ઉત્તરાખંડની મુલાકાતે આવતા ભારતભરના અને વિદેશના યાત્રીઓ ગુજરાત રાજ્યના યાત્રાધામોની મુલાકાત લેવા પ્રેરાય તે અર્થે તેઓને આમંત્રણ આપશેતથા યાત્રાધામોનું પ્રેઝેન્ટેશન તથા સાહિત્ય પણ રજુ કરવામાં આવશે.