સુધારો નહી, સ્વીકારોઃ પૂ. મોરારીબાપુ
વૃંદાવનમાં આયોજીત ‘માનસ વૃંદાવન' શ્રીરામકથાનો કાલે વિરામઃ ત્રીજી એપ્રિલથી હરિદ્વારમાં ‘માનસ હરિદ્વાર' શ્રીરામકથા
રાજકોટ તા. ર૭ :.. ‘સુધારો નહી, પરંતુ સ્વીકાર કરો' તેમ પૂ. મોરારીબાપુ એ વૃંદાવન ખાતે આયોજીત ‘માનસ વૃંદાવન' ના આઠમા દિવસે જણાવ્યું હતું.
પૂ. મોરારીબાપુએ વધુમાં કહ્યું કે, આપણે લોકોને સુધારવા માટે પ્રયત્નો કરવા જોઇએ પરંતુ તેની સાથો - સાથ અમુક લોકોને ગમે તેવા પ્રયત્નો કરીએ તો પણ સુધારો કરી શકતા નથી, તેની સ્વીકાર કરી લેવો જોઇએ.
આજે વૃંદાવનમાં શ્રીરામ કથાનો આઠમો દિવસ છે. કાલે કથા વિરામ લેશે અને તા. ૩ એપ્રિલથી હરિદ્વારમાં ‘માનસ હરિદ્વાર' શ્રીરામ કથાનો પ્રારંભ થશે.
ગઇકાલે પૂ. મોરારીબાપુએ સાતમા દિવસે કહ્યું હતું કે, પદ, પ્રતિષ્ઠા પ્રમાણપત્ર, પૈસા અને વિશેષ પરિચય એ ભજનમાં બાધારૂપ બને છે.
આ પાંચથી જે મુકત રહે છે તે વિશેષ આનંદમાં રહે છે. બાપુએ જણાવ્યું કે જે જે જણાઇ જાય એ સાધુ નહીં. એ પછી મુરારીને ભગવાને પોતાનું ચાવેલું તાંબુલનું પાન આપ્યું. મુરારિએ એમાંથી થોડો ભાગ ખાઇ અને બાકીનું શરીર ઉપર ચોપડી દીધું. એ વખતે મહાપ્રભુજી બોલ્યા કે કાશીના પ્રકાશાનંદજી સરસ્વતીના માયાવાદ કરતા મુરારિનો ‘પાયાવાદ' શ્રેષ્ઠ છે.
કથા પ્રવાહમાં પરમાત્માના પ્રાગટય પછી જાણે એક માસ જેટલો દિવસ થયો, દશરથે પહેલા બ્રહ્માનંદ અને પછી પરમાનંદનો અનુભવ કર્યો. અન્ય રાણીઓએ પણ પુત્ર જન્મની ખબર આપી અને વિવિધ રામાયણમાં અલગ-અલગ પ્રકારની વાત મળે છે. જે કલ્પભેદ અને ભાવભેદના કારણે અલગ લાગે છે. તેમ પૂ. મોરારીબાપુએ જણાવ્યું હતું.