કાશ્મીરના લાવેપોરામાં આતંકી હુમલો કરનારાઓની ઓળખઃ કાર પણ પોલીસે જપ્ત કરી
મુઝફર મીરે ષડયંત્ર રચ્યુ હતુ, બે વિદેશી આતંકીઓ પણ સામેલ હતા
જમ્મુઃ. કાશ્મીર પોલીસે દાવો કર્યો છે કે, એક દિવસ પહેલા શ્રીનગરના લાવેપોરામાં થયેલ આતંકવાદી હુમલાનો કેસ ઉકેલી લીધો છે અને આતંકવાદીઓને ઠાર કરવાના બાકી છે. તેમણે આ હુમલામાં મદદ કરનારાઓને ઝડપી લીધા હોવાનો દાવો કર્યો છે. આ હુમલામાં સીઆરપીએફના બે જવાનો શહીદ થયા હતા અને અન્ય બે ઘાયલ છે.
પોલીસે દાવો કર્યો છે કે આ કેસ હલ કરીને બે ઓવરગ્રાઉન્ડ વર્કરોની ધરપકડ કરાઈ છે. એટલુ જ નહી હુમલાનું ષડયંત્ર રચનાર લશ્કર-એ-તૈયબાના આતંકવાદીની પણ ઓળખ કરી લેવાય છે. હુમલો કરવામાં વપરાયેલ ગાડી પણ પોલીસે જપ્ત કરી લીધી છે.
કાશ્મીરના આઈજીપી વિજયકુમારે હુમલામાં શહીદ થયેલ સીઆરપીએફ જવાનોને શ્રધ્ધાંજલી આપ્યા પછી કહ્યું કે નદીમ અબરારનો સગો મુઝફફર મીર લશ્કરનો કમાન્ડર છે. જે આમા સામેલ છે અને તેણે આ ષડયંત્ર રચ્યુ હતું. જાવેદ અને મુઝફફરને આ હુમલાના માસ્ટર માઈન્ડ ગણાવાય રહ્યા છે. તેમની સાથે બે વિદેશી આતંકવાદીઓ પણ આ હુમલામાં સામેલ હતા. પોલીસે આતંકવાદીઓના બે મદદગારોને ઝડપી લીધા છે.
સીઆરપીએફના આઈજી ચારૂ સિંહાએ કહ્યું કે કાશ્મીરી લોકો સૌહાર્દનો માર્ગ અપનાવે.