મુખ્ય સમાચાર
News of Saturday, 27th March 2021

નિકિતા હત્યાકાંડમાં તૌસીફ ને રિહાનને આજીવન કેદની સજા

૧૫૧ દિવસ બાદ બંને આરોપીને ૨૬મી તારીખે સજા : ફાસ્ટટ્રેક કોર્ટે માત્ર ૧૨ મિનિટમાં ચુકાદો આપ્યો, ભોગ બનેલી યુવતીના પિતા દ્વારા આરોપીઓને ફાંસીની માગ

ફરિદાબાદ, તા. ૨૬ : હરિયાણાના ફરીદાબાદના ચર્ચિત નિકિતા તોમર હત્યાકાંડમાં કોર્ટે શુક્રવારે બંને આરોપીઓને ચાર વાગ્યે આજીવન કેદની સજા સંભળાવી હતી. તૌસિફ અને રેહાનને બુધવારે ફાસ્ટ ટ્રેક કોર્ટે દોષિત જાહેર કર્યા હતા. ૧૫૧ દિવસ બાદ બંનેને ૨૬મી તારીખે જ સજા સંભાળવવામાં આવી. આ ઘટનાને અંજામ પણ ૨૬ મીએ જ આપવામાં આવ્યો હતો.

આ પહેલા પીડિત પક્ષના વકીલોએ કોર્ટને ફાંસીની સજા આપવાની માગ કરી હતી, જેથી સમાજમાં એક કડક સંદેશ મોકલવામાં આવે કે કોઈ પણ ગુનેગાર આવી રીતે કોઈની હત્યા ન કરી શકે. બચાવ પક્ષના વકીલોએ દલીલ કરી હતી કે આ કેસ રેયરેસ્ટ ઓડ ધ રેયરની શ્રેણીમાં આવતો નથી કારણ કે બંને એક બીજાને જાણતા હતા. આવા કિસ્સામાં નિકિતાની હત્યા ઇરાદાપૂર્વકની નહીં, પણ હેતુપૂર્ણ છે, કારણ કે હત્યાના આરોપીની ઉંમર પણ ઘણી ઓછી છે, તેથી તેમને ઓછામાં ઓછી સજા થવી જોઈએ.

બુધવારે સવારે ૧૦.૩૦ વાગે હત્યાના આરોપી તૌસીફ અને રિહાનને ભારે સુરક્ષા વચ્ચે કોર્ટમાં લાવવામાં અવાયા હતા. સવારે ૧૧:૧૫ વાગે બંને પક્ષના વકીલ સજા પર દલીલ માટે કોર્ટ રૂમ પહોંચ્યા હતા અને લગભગ ૨૦ મિનિટ ૧૧:૩૫ સુધી દલીલો ચાલી હતી. નિકિતાના પિતાનું કહેવું છે કે કોર્ટ જ્યારે બંને આરોપીઓને ફાંસીની સજા સંભળાવશે ત્યારે જ તેમને શાંતિ મળશે.

આ પણ સંયોગ જ કહેવામા આવે કે હત્યાકાંડના બરાબર પાંચ મહીના બાદ બંને હત્યારાઓને સાજા સંભળાવવામાં આવી છે. ૨૬ ઓકટોબર ૨૦૨૦ના રોજ નિકિતાની હત્યા કરવામાં આવી હતી અને તમામ તપાસ અને સુનાવણી બાદ બરાબર પાંચ મહીના એટલે કે ૨૬મી માર્ચે જ કોર્ટે સજા સંભળાવી છે. નિકિતાના પિતા મૂળચંદ તોમરે જણાવ્યું હતું કે હત્યારાઓને ફાંસીની સજા મળશે ત્યારે જ તેના પરિવારને શાંતિ મળશે. તેઓ કહે છે કે નિકિતાને ન્યાય અપાવવાનો સમય ૫ મહિનાનો સમય પસાર થઈ ગયો. લોકોની ટિપ્પણી સહન કરી, દબાણમાં રહ્યા. હજી પણ જીવન ભયભીત રીતે જ ચાલી રહ્યું છે.

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશ પર આ કેસની સુનાવણી ત્રણ મહીના અને ૨૨ દિવસ સતત ચાલી. એક ડિસેમ્બર ૨૦૨૦ના રોજ પહેલી જુબાની નોંધાઈ હતી. આ ઘટનાને નજરે જોનારા સાક્ષી નિકિતાના પિતરાઇ ભાઈ તરુણ તોમર અને મિત્ર નિકિતા શર્મા સામેલ હતા. પીડિત પક્ષ તરફથી ૫૫ લોકોએ જુબાની આપવામાં આવી હતી. તેમાં પરિવારના સભ્યો, કોલેજના પ્રિન્સિપાલ સહિત સનેક પોલીસકર્મીઓ સામેલ થયા. બચાવ પક્ષનાં બે દિવસમાં પોતાના બે સાક્ષી રજૂ કર્યા હતા. અને તેમની જુબાની નોંધાઈ હતી. ૨૩ માર્ચે ૨૦૨૧ના રોજ બંને પક્ષો તરફથી જુબાની પૂર્ણ થઈ ગઈ હતી.

(12:00 am IST)