મુખ્ય સમાચાર
News of Friday, 27th March 2020

પાકિસ્તાનમાં કોરોના દર્દીઓ ૧૨૦૧ ઉપર : ૯ મોતઃ વિશ્વ બેંક પાસે માંગી ૩.૭ અબજ ડોલરની લોન

ઇસ્લામાબાદ તા. ૨૭ : કોરોના વાયરસના કહેરથી પાકિસ્તાનની નાણાકીય હાલત વધુ ખરાબ થઇ રહી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને એક અબજ રૂપિયાથી વધારેનું આર્થિક પેકેજ તો જાહેર કરી દીધું છે પણ તે આપવા માટે તેની પાસે નાણા જ નથી. આ સંકટ સામે નિપટવા માટે ફરીથી એકવાર ઇમરાન સરકાર આઇએમએફ, વિશ્વ બેંક અને એડીબીના દરવાજે પહોંચી ગઇ છે.

પાકિસ્તાન સરકારે કોરોના વાયરસના પ્રકોપથી ઉત્પન્ન આર્થિક સંકટ સામે લડવા માટે ૩.૭ અબજ ડોલરની વધારાની લોન માંગી છે. દેશમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં નવ મોત થયા છે અને ૧૧૯૩ લોકો સંક્રમિત છે. નાણાકીય બાબતો માટે વડાપ્રધાનના સલાહકાર અબ્દુલ હફીઝ શેખે બુધવારે પત્રકાર પરિષદમાં કહ્યું  કે, આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (આઇએમએફ) પાસે ૧.૪ અબજ ડોલરની લોન ઉપરાંત વિશ્વ બેંક અને એશિયન વિકાસ બેંક દેશમાં ક્રમશઃ એક અબજ ડોલર અને ૧.૨૫ ડોલરની લોન આપશે.

તાજા ઓફિશ્યલ આંકડાઓ અનુસાર, પાકિસ્તાનમાં કોરોના વાયરસ દર્દીઓની સંખ્યા ૧૧૯૩ પહોંચી ગઇ છે. આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર, સિંધમાં ૪૨૧, પંજાબમાં ૪૦૮, બલૂચિસ્તાનમાં ૧૩૧, ખૈબર પખ્તૂન (કેપી)માં ૧૨૩, ગિલગિટ - એક કેસ જાહેર થયો છે. પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં નવ લોકોના મોત થયા છે. જ્યારે ૨૮ લોકો સાજા થયા છે અને પાંચ દર્દીઓ ગંભીર છે. સંક્રમણથી પ્રભાવિત સિંધમાં નવા કેસોમાં ઘટાડો થયો છે. જ્યારે પંજાબ, બલૂચિસ્તાન, ખૈબર અને સંધીય રાજધાની વિસ્તારમાં નવા કેસ ઝડપભેર વધી રહ્યા છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં જુમાની નમાજ પર પ્રતિબંધ મુકી દેવાયો છે.

(3:31 pm IST)