ભારતમાં કોરોનાનો મરણાંક ૨૦: દર્દીઓની સંખ્યા ૭૦૦ની ઉપર
વિશ્વનો મૃત્યુઆંક ૨૪૦૦૦: ૫ લાખથી વધુ દર્દીઓ
નવી દિલ્હી, તા. ૨૭ :. કોરોના વાયરસે વિશ્વભરમાં કાળોકેર મચાવ્યો છે. વિશ્વભરમાં ૫ લાખ દર્દીઓ કોરોનાના કારણે બિમાર પડયા છે. જ્યારે મૃત્યુઆંક ૨૪૦૦૦નો થયો છે. ભારતમાં ગઈકાલે કુલ ૭ ના મોત થતા કુલ મૃત્યુઆંક ૨૦નો થયો છે અને ૭૦૦ દર્દીઓ સારવાર હેઠળ છે. મળતા અહેવાલો અનુસાર ૭૧ નવા કેસ નોંધાયા છે અને તેમા દિલ્હીના ૪નો સમાવેશ થાય છે.
ભારતમાં ગઈકાલે મુંબઈમાં બે વ્યકિતના મોત થયા હતા. બન્ને વૃદ્ધ મહિલાઓ હતી. આ સિવાય જમ્મુ કાશ્મીરના શોપોરના ૬૫ વર્ષના વેપારી અને રાજસ્થાનના ભીલવાડાના ૭૩ વર્ષના એક વ્યકિતનુ મોત થયુ છે. ભારતમાં અત્યાર સુધીમાં મરનારા લોકો વૃદ્ધ છે.
મધ્યપ્રદેશમાં પણ બીજુ મોત થયુ છે. ઈન્દોરમા ઈલાજ દરમિયાન ૩૫ વર્ષની વ્યકિતનું મોત થયુ છે. આ પહેલા ૬૫ વર્ષની એક વૃદ્ધા મોતને ભેટી હતી. ગુજરાતમાં ગઈકાલે ભાવનગરમાં એક વ્યકિતનુ મોત થયુ હતુ અને ૫ નવા કેસ નોંધાયા હતા. કુલ દર્દીઓ ૪૪ થયા છે અને ૩ના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કુલ ૧૩૦ કેસો નોંધાયા છે જ્યારે કર્ણાટકમાં ૫૫ અને તેલંગણામાં ૪૫ થયા છે. દિલ્હીમાં કુલ ૩૯ કેસ છે.
ડોકટરોનંુ કહેવુ છે કે લોકડાઉનના કડકાઈથી પાલન થવુ જોઈએ.(૨-૧)
ઈટાલીમાં કોરોનાના ૬૧૫૩ નવા કેસઃ મૃત્યુઆંક ૮૨૦૦
રોમઃ ઈટાલી અને સ્પેનમાં કોરોનાનો કહેર ચાલુ છેઃ ઈટાલીમાં નવા ૬૧૫૩ નવા કેસ સામે આવ્યા છેઃ અત્યાર સુધીમાં આંકડો ૮૦૫૦૦નો થયો છેઃ ગઈકાલે ૬૬૨ લોકોના મોત થયાઃ કુલ મૃત્યુઆંક ૮૨૦૦