મુખ્ય સમાચાર
News of Saturday, 27th February 2021

દિગ્ગજ નેતાઓ એક મંચ પર ભેગા થતાં મોટી તિરાડના સંકેત

કોંગ્રેસના આંતરિક વિખવાદ ખુલ્લા પડ્યા : જમ્મુમાં કોંગ્રેસના જી-૨૩ ગ્રુપના નેતાઓએ એક જ મંચ પર ગાંધી પરિવાર સામે નેતૃત્વનો મુદ્દો ઉઠાવતાં વિવાદ

શ્રીનગર, તા. ૨૭ : દેશના સૌથી મોટા રાજકીય પક્ષ કોંગ્રેસમાં નેૃત્વને લઇને આંતરિક વિખવાદો પહેલેથી ખુલ્લા પડી ગયા હતા, પરંતુ જમ્મુમાં કોંગ્રેસના જી-૨૩ ગ્રુપના નેતાઓએ એક જ મંચ પર ગાંધી પરિવાર સામે નેતૃત્વનો મુદ્દો ઉઠાવતાં કોંગ્રેસની સ્થિતિ બદલાઇ ચૂકી છે. જમ્મુમાં એક જ મંચ પર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની ગાંધી પરિવારના નેતૃત્વ સામે એકજૂટતા પાર્ટીમાં મોટી તિરાડના અંદેશા આપી રહી છે.

જમ્મુના આ કાર્યક્રમમાં કોંગ્રેસના કપિલ સિબ્બલ, ગુલામ નબી આઝાદ, રાજ બબ્બર, મનીષ તિવારી અને આનંદ શર્મા સામેલ થયા હતા. આ તમામ નેતાઓ ઉત્તર ભારત સાથે જોડાયેલા છે. તમામ નેતાઓનુ કહેવુ હતું કે પક્ષને મજબૂત બનાવવા માટે જે પણ બલિદાન આપવુ પડશે અમે એ માટે તૈયાર છીએ. કાર્યક્રમને સંબોધતા કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે ગુલામ નબી આઝાદની રાજ્યસભામાંથી વિદાઇને લઇને સવાલ ઉભા કર્યા હતા, તેમનું કહેવું હતું કે પક્ષ તેમના રાજકીય અનુભવનો ઉપયોગ કરી શકતો હતો, પરંતુ તેમને વિદાય કરવામાં આવ્યા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કોંગ્રેસ હવે નબળી પડી ચૂકી છે અને તેને મજબૂત કરવા એકજૂટ થવાની જરુર છે.

કોંગ્રેસ નેતા આનંદ શર્માએ પણ કોંગ્રેસમાં નેતૃત્વ પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે, વિતેલા ૧૦ વર્ષમાં કોંગ્રેસ નબળી બની, એનો એવો અર્થ નથી કે બે ભાઇ અલગ મત ધરાવતા હોય તો ઘર તૂટી જાય છે. અહીં પોતાના મંતવ્યો રજૂ કરવાની વાત છે. મનીષ તિવારીનું કહેવું હતું કે તમામ રાષ્ટ્રવાદી વિચારધારાવાળા લોકોએ એક જ મંચ પર ભેગા થવું પડશે જેમાં સૌથી મોટી ભૂમિકા આઝાદ સાહેબની રહેશે.

બીજી તરફ કોંગ્રેસમાં રાહુલ ગાંધીના નેતૃત્વની માગ કરી રહેલા નેતાઓએ સીનિયર નેતાઓની મોર્ચાબંદી પર રોષ વ્યક્ત કર્યો હતો. તેમના મત મુજબ રાહુલ ગાંધીને પક્ષને મજબૂત કરવા મહેનત કરી રહ્યા છે પરંતુ દિગ્ગજ નેતાઓ વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરવાને બદલે તેમની વ્યક્તિગત ફરિયાદોને મહત્વ આપી રહ્યા છે. ટીમ રાહુલ ગાંધીનું માનવું હતું કે આ પ્રકારની ઘટનાઓથી કોંગ્રેસને મોટું નુકશાન વેઠવું પડી શકે છે. જેનો સીધો ફાયદો બીજેપીને થાય એવી સંભાવના છે.

 આ એનજીએ ગાંધી ગ્લોબલ ફેમિલીનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં અનેક કોંગ્રેસી નેતાઓ સામેલ હતા જેમણે ગત વર્ષે ગાંધી પરિવારની નેતૃત્વની શૈલી પર સવાલ ઉઠાવ્યા હતા.

કોંગ્રેસના આ અસંતુષ્ટ નેતાઓમાંથી એક સિનિયર નેતાએ કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં આ એકતા મિસ્ટર ગાંધીને એક મેસેજ છે. અમે તેમને જણાવીશું કે ઉત્તરથી દક્ષિણ ભારત સુધી દેશ એક છે. કપિલ સિબ્બલે કાર્યક્રમમાં કહ્યું કે, વાસ્તવીકતા એ છે કે અમે કોંગ્રેસને નબળી પડતી જોઈ રહ્યાં છીએ. તેથી અમે બધા અહીં એકઠાં થયાં છીએ. અમે પહેલાં પણ એક સાથે આવ્યા હતા અને આપણે સૌએ પાર્ટીને મજબૂત બનાવવાની છે.

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ તાજેતરમાં ઉત્તર અને દક્ષિણને લઈ કોમેન્ટ કરી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ આ નિવેદનને લઈ ખુશ ન હોવાનું માનવામાં આવે છે. આ તરફ ગુલામ નબી આઝાદ પોતાનું નામ રાજ્યસભા માટે ફરી નોમિનેટ ન કરાયું તેને લઈને પણ પાર્ટીથી નારાજ છે.

(9:19 pm IST)