મુખ્ય સમાચાર
News of Saturday, 27th February 2021

મુંબઇ ક્રાઇમ બ્રાંચે કેસના ઉકેલ માટે બનાવી દસ ટીમો

તો શું મુકેશ અંબાણી ત્રાસવાદીના નિશાને હતા ? : તપાસ શરૂ

મુંબઇ તા. ૨૭ : માલિક મુકેશ અંબાણીના ઘરથી થોડે જ દૂર એક શંકાસ્પદ સ્કોર્પિયો કાર મળી આવતાં સનસનાટી મચી જવા પામી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આ કેસના ઉકેલ માટે દસ ટીમો બનાવી છે. દરમિયાન આ મુદ્દે એક મહત્ત્વનો સુરાગ મળ્યો છે. ક્રાઈમ બ્રાન્ચના વડા મિલિંદ ભારંબેએ જણાવ્યું કે સ્કોર્પિયો કારની પાછળ એક ઈનોવા કાર પણ થોડી મિનિટ માટે ઉભી હતી.

તપાસમાં ખુલાસો થયો છે કે આ ઈનોવા ગાડી રાત્રે ૧.૨૦ વાગ્યે ઠાણેથી ઉપડી હતી. રસ્તામાં તેણે પ્રિયદર્શિની ચોક પાસે શંકાસ્પદ સ્કોર્પિયો કારના ડ્રાઈવરને સાથે લીધો હતો. બન્ને ગાડીઓ રાત્રે ૨.૧૮ વાગ્યે મુકેશ અંબાણીના ઘર પાસે ઉભી રખાઈ હતી.સ્કોર્પિયોને ત્યાં જ ઉભી રખાઈ હતી અને તેનો ડ્રાઈવર ત્રણ-ચાર મિનિટ બાદ સ્કોર્પિયોમાંથી બહાર નીકળીને ઈનોવામાં બેસી ગયો હતો. આ પછી ઈનોવા ત્યાંથી ઉપડી ગઈ હતી. બીજી બાજુ પોલીસ આ મુદ્દે આતંકવાદી કનેકશનની તપાસ પણ કરી રહી છે.

દરમિયાન ઈનોવા કારની નંબર પ્લેટ પણ નકલી નીકળી હતી. રાત્રે ૩.૦૫ વાગ્યે ઈનોવા ગાડી મુલંડ ચેકનાકા પરથી પસાર થઈને ઠાણેથી આગળ નીકળી ગઈ હતી. ખાસ વાત એ છે કે મુકેશ અંબાણીના બિલ્ડિંગ પાસે કલાકો સુધી ઉભેલી સ્કોર્પિયો કારના નંબર પર ટ્રાફિક પોલીસે ઈ-ચલણ પણ કાપ્યું છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા અનુસાર જે સ્કોર્પિયો કારમાં જિલેટિન મળ્યા હતા તે એરાલી-મુલુંડ વચ્ચે એક બ્રિજ પાસેથી ચોરવામાં આવ્યા છે. આ વિસ્તાર વિક્રોલી પોલીસ મથક હેઠળ આવે છે.

આ કારનો માલિક ઠાણેનો રહેવાસી છે. તે ૧૭ ફેબ્રુઆરીએ રાત્રે પરિવાર સાથે કોઈ પ્રોગ્રામમાં આ કારમાં બેસીને જઈ રહ્યો હતો. રસ્તામાં તેની ગાડી ખરાબ થઈ ગઈ હતી એટલા માટે તેણે આ કાર ત્યાં જ ઉભી રાખી અને રેડિયો ટેકસીમાં બેસીને પ્રોગ્રામમાં ચાલ્યો ગયો હતો. જયારે પરત ફરીને જોયું તો તેની ગાડી ચોરાઈ ગઈ હતી. તેણે પોલીસમાં આ અંગેની ફરિયાદ પણ નોંધાવી હતી. બાદમાં આરોપીઓએ આ કારની નંબર પ્લેટ બદલાવી નાખી હતી. એન્જીન અને ચેસીસ નંબર પણ બદલાવી નાખ્યા હતા. નંબર પ્લેટ જે બદલાવવામાં આવી છે તે મુકેશ અંબાણીની મુળ ગાડી સાથે મળતી આવતી નંબરપ્લેટ છે. ખાસ વાત એ છે કે આ ચોરી કરાયેલી ગાડીમાં અંદાજે અડધો ડઝન નકલી નંબર પ્લેટ પણ મળી છે અને તમામ મુકેશ અંબાણીની કંપનીની કારના નંબર છે.

(3:17 pm IST)