દિલ્હી હિંસા : ફરી પરીક્ષા લેવા CBSE સુસજ્જ છે
હિંસાના લીધે વિદ્યાર્થીઓ પરેશાન
નવી દિલ્હી, તા.૨૭ : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન વિદ્યાર્થીઓ માટે નવેસરથી પરીક્ષા લેનાર છે. ઉત્તરપૂર્વીય દિલ્હીમાં હિંસાના પરિણામ સ્વરુપે રાષ્ટ્રીય પાટનગરમાં પરીક્ષા આપવામાં નિષ્ફળ રહેલા વિદ્યાર્થીઓ માટે ફરીથી પરીક્ષા લેવામાં આવશે. સીબીએસઈ દ્વારા આજે આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. ધોરણ ૧૦ અને ૧૨ના જે વિદ્યાર્થીઓ સામાજિક અંધાધૂંધીના કારણે પરીક્ષામાં ઉપસ્થિત રહી શક્યા નથી તે વિદ્યાર્થીઓના સંદર્ભમાં માહિતી આપવા તમામ સ્કુલોને સૂચના આપવામાં આવી છે. દિલ્હીમાં સ્થિતિ સામાન્ય બની રહી છે પરંતુ હજુ પણ જનજીવન સંપૂર્ણપણે ખોરવાયેલું છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપવામાં ભારે મુશ્કેલી નડી છે. ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહી ગયા છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા ચિંતા વ્યક્ત કરાયા બાદ હવે સીબીએસઈ બોર્ડ દ્વારા નવેસરથી પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને આની સાથે જ રાહત થઇ છે. જો કે તારીખ જાહેર કરાઈ નથી.