મુખ્ય સમાચાર
News of Thursday, 27th January 2022

યુપીમાં ચૂંટણીની તૈયારી વચ્ચે

રાયબરેલીમાં ઝેરી દારૂ પીતા ૬ના મોત : ૬ ગંભીર

લખનૌ તા. ૨૭ : ઉત્ત્।ર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ગઇ કાલે ૨૬મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ રાયબરેલીમાં ઝેરી દારૂ પીવાથી એક મહિલા સહિત ૬ લોકોનાં કરૂણ મોત થઇ ગયા અને અન્યઅડધો ડઝન હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે સંધર્ષ કરી રહ્યા છે.

માહિતી મળતા જ જિલ્લા મેજિસ્ટ્રેટ વૈભવ શ્રીવાસ્તવ, અધિક પોલીસ અધિક્ષક વિશ્વજીત શ્રીવાસ્તવ સહિત ઘણા વરિષ્ઠ અધિકારીઓ પોલીસ દળ સાથે ગામમાં પહોંચી ગયા હતા. કેટલાક લોકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા જેમાંથી ૪ લોકોની હાલત હજુ પણ ગંભીર છે.

ગ્રામીણોના જણાવ્યા પ્રમાણે મંગળવારે મોડી સાંજે લોકોએ પહાડપુરા સ્થિત એક દેશી દારૂના ઠેકા પરથી ખરીદીને દારૂ પીધો હતો. ત્યારબાદ મોડી રાત્રે ડઝન લોકોની હાલત ખરાબ થઈ ગઈ હતી. આજુબાજુના લોકોએ તેમને મહારાજગંજ સ્થિત સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર(સીએચસી)માં પહોંચાડ્યા હતા જયાં પહાડપુરના રહેવાસી સુખરાની (ઉંમર ૬૫ વર્ષ) અને રામસુમેર પુત્ર ગજોધર (ઉંમર ૪૦ વર્ષ)ને ડોકટર્સે મૃત જાહેર કર્યા હતા. સરોજ યાદવ (ઉંમર ૪૦ વર્ષ)નું ગામમાં જ મૃત્યુ થયું હતું. પહાડપુરના રહેવાસી વંસીલાલના પુત્ર દ્વારિકા (ઉંમર ૬૦ વર્ષ)નું પણ તેના ઘરે જ અવસાન થયું ગયું હતું. જિતેન્દ્ર ઉર્ફે પંકજ સિંહ (ઉંમર ૩૫ વર્ષ)ની હાલત પણ અત્યંત ગંભીર હોવાનું જણાવી રહ્યા છે.

દારૂ પીનારા લોકોમાં હજુ પણ અડધો ડઝનથી વધારે લોકોની હાલત ગંભીર છે. તેમની સારવાર ઉચ્ચ પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર અને જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે. ક્ષેત્ર અધિકારી રામ કિશોરે જણાવ્યું કે, એક મહિલા સહીત ૬ લોકોના મોત થઈ ગયા છે. કેટલાક લોકોની હાલત ગંભીર હોવાની પણ માહિતી મળી રહી છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

ઝેરી દારૂથી રાયબરેલીમાં અગાઉ પણ મૃત્યુ થઈ ચુકયા છે તેમ છતાં વહીવટી તંત્ર સતર્ક થતું નથી. છેલ્લી ઘટના ૫ વર્ષ પહેલા બછરાવામાં થઈ હતી જયાં ઝેરી દારૂ પીવાથી અડધો ડર્ઝન લોકોના મૃત્યુ થઈ ગયા હતા. આ ઘટનાને લઈને લોકોમાં ઘણો આક્રોશ પણ હતો. આ કેસમાં કેટલાક પોલીસ કર્મચારીઓની સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ પણ કાળા કારોબારને ડામવા માટે ખાસ કંઈ કરવામાં આવ્યું નથી. પરિણામે જિલ્લામાં ફરી એકવાર નકલી દારૂના કારણે લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે.

(11:18 am IST)