મુખ્ય સમાચાર
News of Wednesday, 27th January 2021

સુનિયોજિત હતી ટ્રેકટર પરેડ હિંસા? વિડિયોથી ઉઠયા અનેક સવાલ

દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસે થયેલી હિંસા બાદ ભારતીય કિસાન યુનિયન નેતા રાકેશ ટિકૈતનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયો છે

નવી દિલ્હી, તા.૨૭: દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસે થયેલી હિંસા બાદ ભારતીય કિસાન યુનિયન નેતા રાકેશ ટિકૈત નો વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયો છે. ત્યારબાદ હવે સવાલ ઉઠી રહ્યો છે કે આખા દેશનું માથું નમાવી દેનારી આ જે બબાલ થઈ તે સુનિયોજિત હતી? ટિકૈતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ખેડૂત આંદોલનની દાનત પણ સવાલના દ્યેરામાં આવી ગઈ છે. વાયરલ વીડિયોમાં રાકેશ ટિકૈત ખેડૂત નેતાઓને લાકડી-ડંડા સાથે લઈને આવવાની અપીલ કરી રહ્યા છે.

વીડિયોમાં રાકેશ ટિકૈત ખેડૂતોને ઉકસાવતા જોવા મળે છે. રાકેશ ટિકૈત કહે છે કે, મોદી સરકાર અબ કૈડી હોય ગઈ હૈ. ઈસલીએ પ્રદર્શનમાં ઝંડા ઔર ડંડા સાથ લાના. લાઠી-ગોઠી પણ રખીયો અપની, ઝંડા લગાને કે લીએ. સમજ જાઈઓ સારી બાત. તિરંગા ભી લગાના, અપના ઝંડા ભી  લગાના. ઠીક હૈ. અબ સબ જાઓ અપની જમીન બચાને. આ જાઓ અપની જમીન બચાને કે લીએ વરના જમીન નહીં બચની. જમીન છીનવી જાએગી.

આ વીડિયો ભાજપના પ્રવકતા સંબિત પાત્રાએ પણ ટ્વીટ કર્યો છે. જો કે આ વીડિયો કયારનો છે તેની કોઈ માહિતી સામે નથી આવી. જણાવી દઈએ કે ગણતંત્ર દિવસે ખેડૂતોએ ટ્રેકટર પરેડકરી હતી. આ દરમિયાન તેમણે લાલ કિલ્લા પર ખાલસા પંથનો ધ્વજ ફરકાવ્યો હોવાનું કહેવાય છે. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અનેક ઠેકાણે ઘર્ષણ થયું હતું. જે વચ્ચે વાયરલ થયેલા આ વીડિયો બાદ સવાલો ઉઠી રહ્યા છે. જો કે, વીડિયો મામલે રાકેશ ટિકૈતે સ્પષ્ટતા પણ કરી છે.

ભૂલ કે ષડયંત્ર?

ટિકૈતનો આ વીડિયો વાયરલ થયા બાદ હિંસાના સુનિયોજિત ષડયંત્ર અંગે પણ ગંભીર સવાલ ઉઠી રહ્યા છે. દેશની રાજધાનીમાં આંદોલન ના નામ પર આ પ્રકારે હિંસાથી દેશભરમાં આક્રોશનો માહોલ છે. સોશિયલ મીડિયા પર સતત યોગેન્દ્ર યાદવ અને રાકેશ ટિકૈતને લોકો સવાલ પૂછી રહ્યા છે. વાયરલ થયેલા વીડિયો પર રાકેશ ટિકૈત નું કહેવું છે કે અમે કહ્યું હતું કે તમારી લાકડી લઈને આવજો. કૃપા કરીને મને ડંડા વગરનો કોઈ ઝંડો બતાવો, હું મારી ભૂલ સ્વીકારી લઈશ. આ સાથે જ રાકેશ ટિકૈતે કહ્યું કે જેણે ઝંડો ફરકાવ્યો તે માણસ કોણ હતો? એક કોમને બદનામ કરવાનું ષડયંત્ર છેલ્લા ૨ મહિનાથી ચાલી રહ્યું છે. કેટલાક લોકોને ઓળખી લેવાયા છે અને તેમણે આજે જ અહીંથી જવું પડશે. જે વ્યકિત હિંસામાં લિપ્ત જણાશે તેણે સ્થાન છોડવું પડશે અને તેના વિરુદ્ઘ કાર્યવાહી થશે.

બીજી બાજુ ભાજપના નેતા શાહનવાઝ હુસૈને કહ્યું કે જે શંકા હતી તે સાચી સાબિત થઈ. ખેડૂત સંગઠનો મોટી મોટી વાતો કરી રહ્યા હતા કે અનુશાસન રહેશે કે અમે જશ્નમાં સામેલ થઈ રહ્યા છીએ. આ જ હતો કે ગણતંત્ર દિવસ ના અવસરે ભારત પર હુમલો? તેમણે લાલ કિલ્લાને અપવિત્ર કર્યો છે. આ બધા વિરુદ્ઘ કડક કાર્યવાહી થવી જોઈએ. શાહનવાઝ હુસૈને વધુમાં કહ્યું કે ઉકસાવવાનું કામ તો ખેડૂત સંગઠનના નેતાઓએ કર્યું. ખેડૂત સંગઠનના દરેક નેતા ફકત ભડકાવવામાં લાગ્યા હતા. હવે જયારે આ ઘટના ઘટી તો તેઓ જાત જાતના જ્ઞાન આપી રહ્યા છે.

(4:08 pm IST)