મુખ્ય સમાચાર
News of Wednesday, 27th January 2021

'યે હસીન વાદિયા, યે ખૂલ્લા આસમાન...'

હિમાચલમાં આવેલ કિન્નૌરનો તાજ એટલે 'ચિતકુલ' પર્યટન સ્થળ

પ્રમાણમાં ઓછા જાણીતા એવા આ સ્થળને કુદરતે અદ્ભૂત સૌંદર્ય આપ્યુ છેઃ સ્વર્ગમાં હોવાનો અહેસાસ થાય છેઃ બરફથી ઢંકાયેલા પર્વતો, લીલા ઘાસવાળા મેદાન, ઝરણાના સ્વરૂપમાં વહેતી નાની-નાની નદીઓ અને તેમા સફેદ રંગના દૂધીયા પથ્થરો સોનામાં સુગંધ ભેળવે છે

રાજકોટ, તા. ૨૭ :. માહિતી અને ટેકનોલોજી સાથેના હાલના ફાસ્ટ ફોરવર્ડ જમાનામાં તથા સતત ભાગદોડવાળી જીંદગીનો અહેસાસ કરતા ફરવાના શોખીન સહેલાણીઓ હંમેશા પ્રાકૃતિક-કુદરતી શાંત અને સુંદર વાતાવરણમાં થોડા દિવસો પસાર કરવાની ખેવના રાખતા હોય છે. નવા નવા પ્રવાસન સ્થળોએ જવા માટે આતુર રહેતા હોય છે.

ભારતમાં દિવસે-દિવસે કોરોનાનો ખોફ ઓછો થઈ રહ્યો છે અને બસ, રેલ્વે, ફલાઈટ વિગેરે જેવું ટ્રાન્સપોર્ટેશન પણ શરૂ થયુ છે ત્યારે હિમાચલ પ્રદેશના કિન્નૌર જીલ્લામાં આવેલ 'ચિતકુલ' પર્યટન સ્થળ ત્યાંનો 'તાજ' (ક્રાઉન) ગણવામાં આવે છે. પ્રમાણમાં ઓછા જાણીતા એવા આ સ્થળને કુદરતે અદ્ભૂત સૌંદર્ય આપ્યુ છે. એક રીતે સ્વર્ગમાં હોવાનો અહેસાસ થતો હોય છે.

ટ્રાવેલ બ્લોગર સંજય શેફર્ડ કહે છે કે ચિતકુલ પહોંચીને પ્રકૃતિના મૌલિક સ્વરૂપને જોઈ શકાય છે. બરફથી ઢંકાયેલા પર્વતો, લીલા ઘાસવાળા મેદાનો, ઝરણાના સ્વરૂપમાં ખળખળ વહેતી નાની-નાની નદીઓ અને તેમાં દુધીયા સફેદ પથ્થરો તરતા હોવાનો થતો અહેસાસ વિગેરે ચોક્કસપણે સોનામાં સુગંધ મેળવે છે. સુર્યના કિરણોએ આખી પર્વતમાળામાં મોતી વેરી દીધા હોય તેવો અનુભવ થાય છે. ખુબ સુરત સૌંદર્ય ને કારણે માનવીનું મન ખીલી ઉઠે છે.

અહી પાંચ-સાત દિવસનો સમય ફરવા માટે ઉતમ કહી શકાય.

ચિતકુલ પહોંચતાની સાથે જ બસપા ઘાટ જોવા મળે છે. આ પર્વતીય ઘાટી બસપા નદી તથા પોતાના કુદરતી સૌંદર્ય માટે જાણીતી છે.

ચિતકુલ બસપા નદીના જમણા કિનારા ઉપર ભારત-ચીનની સરહદ ઉપર આવેલ છેલ્લું અને સૌથી ઉ઼ચાઇ .પર આવેલ ગામ છે. આ જગ્યા પર પગ મુકતા જ મુસાફરોનો બધો  થાક ગાયબ થઇ જાય છે જાણે કોઇ અલગ દેુનિયાનો અનુભવ થાય છે.

ઘેટાઓની પાછળ ભાગતા બાળકો, લાકડાના ઘરો, પર્વતો, પહાડોમાંથી વહેતી બરફના ઠંડા પાણી ધારાઓ, રૂમની બારીઓમાંથી બહમર નજર કરતા વાદળાઓને નજીકથી અડતા હોવાનો થતો અહેસાસ ખરેખર દિલખુશ કરી દે છે. અહીનુ઼ કુદરતી વાતાવરણ ભાગ દોડવાળી બહારની દુનિયાથી સાવ અલગ હોવાનો અનુભવ કરાવે છે. લોકો ધાર્મિક પ્રકૃતિના તથા સ્થાનીક રીતરીવાજો અને માન્યતાઓમાં આસ્થા રાખે છે. ઉપરાંત તેઓનો મુખ્ય વ્યવસાય ખેતી છે.

ટુંકમાં સમય-સંજોગોને અનુરૂપ અહીનો પ્રવાસ કરીને કુદરતના ખોળે વિહરતા-વિહરતા સહેલાણીઓનું મન મલકી ઉઠે છે કે યે હસન વાદીયા, યે ખુલ્લા આસમાન...

ચિતકુલ પહોંચવું કઇ રીતે ? રહેવું કયાં ?

નેશનલ હાઇવે નં.રર ઉપર સિમલાથી રીકાંગપીયો સુધીનો ૧૦ કલાક જેટલો રસ્તો છે રીકાગપિયો અથવા તો રકછમથી બસ દ્વારા કે પછી ભાડેથી ટેકસી કરી શકાય છે.

ચિતકુલ ખાતે વિવિધ સ્ટાર કેટેગરીઝની હોટલ્સ મળી રહે છે. સીઝનને અનુરૂપ એક દિવસના ૧૦૦ રૂપીયાથી માંડીને સાડા પાંચ -છ હજાર રૂપીયા સુધીના રુમ્સ મળી રહે છે. ઘણા કિસ્સામાં ડીસ્કાઉન્ટ પણ મળતુ હોય છે. સીઝન પ્રમાણે ટેરીફ અલગ-અલગ હોઇ શકે છે. સ્ટાન્ડર્ડ ફેસેલીટીઝ સાથેના ગેસ્ટ હાઉસ પણ મળી રહે છે. ઓનલાઇન બુકીંગ પણ કરાવી શકાય છે.

ગુગલ ઉપર ACCOMMODATION IN CHITKUL VILLAGE- HIMACHAL PRADESH સર્ચ કરવાથી રહેવા-જમવા માટેના ઘણા વિકલ્પો મળે છે.

(3:49 pm IST)