મુખ્ય સમાચાર
News of Wednesday, 27th January 2021

અંધશ્રદ્ધામાં પોતાની જ બે પુત્રીઓનો જીવ લેતા નિષ્ઠુર માતા-પિતા

અમારી પાસે વિશેષ દૈવી શકિત, થોડા કલાકોમાં બન્ને જીવીત થશેઃ કાલથી સત્યુગ શરૂ થશેઃ હત્યારા મા-બાપ : દંપતી ઉચ્ચ શિક્ષીત અને પ્રિન્સીપાલ છેઃ મોટી પુત્રીએ ભોપાલથી માસ્ટર ડીગ્રી કરેલઃ નાની પુત્રીએ બીબીએ કરેલ અને પ્રખ્યાત સંગીતકાર એ.આર. રહેમાનની મ્યુઝીક સ્કુલની વિદ્યાર્થીની હતી

ચિત્તુર તા. ર૭ : આંધ્રપ્રદેશના ચિત્તુરથી એક સનસનીખેજ ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચિત્તુરના પ્રિન્સીપાલ દંપતીએ અંધ વિશ્વાસના ચક્કરમાં પોતાની જ બે પૂત્રીઓની હત્યા કરતા ચકચાર મચી ગઇ છે. માતા-પિતા જ પુત્રીઓ માટે કાળ બનીને આવ્યા હતા. પતિ-પત્નીએ રવિવારે રાતે પોતાના ઘરે જ પુત્રીઓની હત્યા નિપજાવેલ.

મદનાપલ્લે ગામમાં લોકો પણ હેરાન છે કે આટલા શિક્ષીત દંપતી અંધ વિશ્વાસના ચક્કરમાં કેમ આવ્યુ અને બે દીકરીઓની હત્યા કરેલ. દંપતિની ઓળખ પદ્મની અને પુરૂષોતમ નાયડુના રૂપે થઇ છે.

જયારે બન્ને પુત્રીઓ અલેખ્યા અને સાઇ દિવ્યા અનુક્રમે ર૭ અને રર વર્ષની હતી. પોલીસે જણાવ્યા મુજબ માતાએ બન્ને પુત્રીઓ ઉપર ડંબેલ્સથી હુમલો કરી હત્યા નિપજાવી હતી.

દંપતીની મોટી પુત્રી આલેખ્યાએ ભોપાલથી માસ્ટર ડીગ્રી કરેલ. જયારે સાંઇ દિવ્યાએ બીબીએ કરેલ. તે પ્રખ્યાત સંગીતકાર એ.આર.રહેમાનની મ્યુઝિક સ્કુલની વિદ્યાર્થીની હતી અને લોકડાઉનમાં ઘરે આવી હતી.

પોલીસને પાડોશીઓએ જણાવેલ કે પરિવાર લોકડાઉન દરમિયાનથી જ અજીબ વર્તન કરવા લાગેલ. રવિવાર રાત્રે આ ઘરેથી રાડો પાડવાના અવાજ આવતા રહેવાસીઓએ પોલીસને જાણ કરી હતી. દંપતી પોલીસને પણ ઘરમાં આવવા દેતુ ન હતું. પોલીસે અંદર જઇને દ્રશ્ય જોયુ તો તેઓ પણ ચોંકી ઉઠેલ, એક પુત્રીની લાશ પુજારૂમમાં હતી તો બીજી રૂમમાંથી મળેલ. બન્નેના મૃતદેહોને લાલ કપડાથી ઢાંકેલા હતા.

દંપતીએ જણાવેલ કે તેમની પાસે વિશેષ દૈવી શકિતઓ છે, જેથી થોડા જ કલાકોમાં બન્ને પુત્રીઓ જીવીાત થઇ જશે. પોલીસે જણાવેલ કે છોકરીઓની હત્યા બાદ પિતાએ પોતાના એક સહકર્મીને ફોન કરી ઘટનાની વાત કરેલ. આ સાંભળી સહકર્મીના પણ હોંશ-કોશ ઉડી ગયેલ.

ઘટના સ્થળે પહોંચેલ પોલીસે દંપતીને હળવા બેભાન અવસ્થામાં હોવાનું જાણ્યું. હતું. પોલીસ અધીકારીના જણાવ્યા મુજબ રવિવારે માતાએ બન્ને પુત્રીઓની હત્યા કરેલ. એક પુત્રીની હત્યા પહેલા મુંડન પણ કરેલ પિતા પણ ત્યાંજ હાજર હતા. માતાએ પહેલા નાની પુત્રી સાઇ દિવ્યાને ત્રીશુલથી મારી નાખી અને ત્યારબાદ મોટી પુત્રી ઉપર ડંબેલ્સથી હુમલો કરી હત્યા કરેલ. નિષ્ઠુર પિતા આ સમગ્ર ઘટના જોઇ રહ્યો હતો.

દંપતીની ધરપકડ કરવામાં આવી ત્યારે બન્નેમાંથી કોઇના મોઢા ઉપર જધન્ય અપરાધ છતા કોઇ પસ્તાવાનો ભાવ ન હોવાનું પોલીસે જણાવેલ જયારે તેમની હત્યા અંગે પુછપરછ કરવામાં આવી ત્યારે તેમણે જણાવેલ કે તેમની બન્ને પુત્રીઓ સુરજ ઉગવાની સાથે જીવીત થઇ જશે, કેમ કે કળયુગ પુરો થઇ જશે અને સોમવારથી સત્યુગ શરૂ થશે. દંપતિને આ વાત ઉપર પુરો વિશ્વાસ હતો. પોલીસે દંપતીની ધરપકડ કરી મૃતદેહોને પોસ્ટ મોટમ માટે મોકલ્યા હતા. ઉપરાંત પોલીસ આ મામલે અન્ય કોઇની સંડોવણી અંગે પણ તપાસ કરી રહી છે.

(3:48 pm IST)