મહારાષ્ટ્રમાં નવા ત્રણ કૃષિ કાયદા લાગુ નહીં કરાય : સરકાર કમિટી બનાવશે
રાજ્યની મહાવિકાસ આઘાડી સરકારે આંદોલનને ટેકો આપ્યો
મુંબઈ : આજે ગણતંત્ર દિવસે દિલ્હીની જેમ મુંબઈમાં પણ હજારો ખેડૂતો આઝાદા મેદાનમાં કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા સામે વિરોધ કરવા માટે ભેગા થયા છે. આવામાં મહારાષ્ટ્રના સ્પીકર નાના પટોલેએ ખેડૂતોને કહ્યુ હતુ કે, કેન્દ્ર સરકાર દ્વારા જે નવા કાયદા બનાવાયા છે તેને મહારાષ્ટ્રમાં લાગુ કરવામાં નહીં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આઝાદ મેદાનમાં ભેગા થયેલા મોટાભાગના ખેડૂતો નાસિક અને આસપાસના વિસ્તારના છે.તેઓ નાસિકથી પગપાળા માર્ચ કરીને મુંબઈમાં દેખાવો કરવા માટે ભેગા થયા છે.તેમને સંબોધન કરતા નાના પટોળેએ કહ્યુ હતુ કે, મહારાષ્ટ્ર સરકાર નવા ત્રણ કાયદા અંગે એક કમિટી બનાવશે.
રાજ્ય સરકાર આ કાયદાને રાજ્યમાં લાગુ નહીં કરે.પહેલા હું ખેડૂત છું અને પછી વિધાનસભાનો સ્પીકર છું અને એટલે હું ખેડૂતોના સમર્થનમાં અહીંયા આવ્યો છું. ઉલ્લેખનીય છે કે, ઓલ ઈન્ડિયા કિસાન સભા દ્વારા આ વિરોધ પ્રદર્શનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ અને તેમાં લગભગ 15000 જેટલા ખેડૂતો જોડાયા હતા.
અત્રે નોંધનીય છે કે ત્રણ નવા કૃષિ કાયદા રદ કરવાની માગણી માટે દિલ્હીમાં ચાલતા આંદોલનને ટેકો આપવા માટે સોમવારે મુંબઈમાં આઝાદ મેદાન ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા હતા. રાજ્યના ખૂણાખાંચરામાંથી ખેડૂતો પહોંચ્યા છે. રાજ્યની મહાવિકાસ આઘાડી સરકારે આંદોલનને ટેકો આપ્યો છે