મુખ્ય સમાચાર
News of Wednesday, 27th January 2021

ખેડૂતો બેફામ બન્યાઃ લાલ કિલ્લા પર પોતાનો ઝંડો ફરકાવ્યો

જયાં શાનથી લહેરાય છે તિરંગો ત્યાં ખેડૂતોએ મચાવ્યો હંગામો

નવી દિલ્હી, તા.૨૭: દર વર્ષે સ્વાતંત્ર્ય દિન અને પ્રજાસત્તાક દિવસ નિમિત્તે વડાપ્રધાન લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. આ ઐતિહાસિક ઇમારતની તે જગ્યાએ જ પ્રજાસત્તાક દિવસે તિરંગાની જગ્યાએ બીજો ધ્વજ લહેરાતો જોવા મળ્યો. તેનું કારણ એ હતું કે કેટલાક વિરોધ કરી રહેલા ખેડૂતો સરકારને સંદેશ આપવા માંગતા હતા. ટ્રેકટર રેલીમાં ભારે હોબાળો કર્યા પછી જયારે ખેડુતો લાલ કિલ્લા પર પહોંચ્યા ત્યારે કેટલાક તોફાની લોકો લાલ કિલ્લા પર ચઢી ગયા હતા, અને જયાં દર વર્ષે ત્રિરંગો લહેરાવવામાં આવે છે તે સ્થળે તેમણે પોતાનો ધ્વજ ફરકાવ્યો હતો. આ તે સ્થાન છે જયાં વડાપ્રધાન દર વર્ષે ધ્વજવંદન બાદ રાષ્ટ્રને સંદેશ આપે છે.

લાલ કિલ્લા પર તિરંગાની જગ્યાએ બીજા ધ્વજને લહેરાતો જોઈને લોકો આશ્ચર્યચકિત થયા. કોંગ્રેસના સાંસદ શશી થરૂરે ટ્વીટ કર્યું, 'સૌથી દુર્ભાગ્યપૂર્ણ. મેં શરૂઆતથી જ ખેડૂતોના આંદોલનને સમર્થન આપ્યું છે પરંતુ હું અરાજકતાને અવગણી શકતો નથી. પ્રજાસત્તાક દિન પર લાલ કિલ્લા પર અન્ય કોઈ ધ્વજ નહીં, ફકત ત્રિરંગો લહેરાવવો જોઈએ.' કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા જયવીર શેરગિલે પણ આવું જ કહ્યું હતું. ભાજપના નેતા રમેશ નાયડુએ લખ્યું કે, 'ટોળાએ પોલીસ બેરિકેડ તોડ્યા, એટલું જ નહીં, સુરક્ષા દળોએ અટકાવ્યા છતાં તેઓ લાલ કિલ્લા પર પહોંચ્યા.'

૧૧ ખેડૂત સંગઠનોના જૂથ સંયુકત કિસાન મોરચાના આગેવાનોનું કહેવું છે કે, જે ખેડૂત સંગઠનોના લોકો હિંસા પર ઉતરી આવ્યા છે અને લાલ કિલ્લા સંકુલમાં પ્રવેશ કર્યો છે, તેમની સાથે તેમના કંઈ લેવાદેવા નથી. અખિલ ભારતીય કિસાન સભાના મહામંત્રી હન્નાન મૌલાએ આઈએએનએસને જણાવ્યું હતું કે કેટલાક સંગઠનોએ ટ્રેકટર રેલીમાં ઘૂસીને ખેડૂત આંદોલનને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. પંજાબમાં અખિલ ભારતીય કિસાન સભાના મહામંત્રી મેજર સિંહ પુનાવાલે કહ્યું કે જે લોકો લાલ કિલ્લા પર પહોંચ્યા છે તે સંયુકત કિસાન મોરચાના લોકો નથી. પંજાબના ખેડૂત નેતા અને કિસાન બચાવો મોરચાના પ્રમુખ ક્રિપા સિંહે કહ્યું કે હિંસા કરનારાઓ સાથે તેમનો કોઈ સંબંધ નથી.

૧૪ કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતો બે મહિનાથી દિલ્હી સરહદ પર આંદોલન કરી રહ્યા છે જેમાં આજે તેઓ ટ્રેકટરો રેલી કાઢી રહ્યા છે. આ રેલી દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું. અનેક જગ્યાએથી આંદોલનકારી ખેડૂતો ભારે મોટી સંખ્યામાં ઉપદ્રમ મચાવતા દિલ્હીમાં દ્યુસી ગયા છે અને બેરિડકેડની તોડફોડ કરી છે. પ્રદર્શનકારીઓની તોડફોડ અને પોલીસ પર હુમલા બાદ ખેડૂત નેતાઓ બિલકુલ ગાયબ જ થઈ ગયા છે. ભારતીય કિસાન યુનિયનના રાકેશ ટિકેતનું કહેવું છે કે તેમને આ બાબતે કોઈ જાણકારી જ નથી. સવાલ એ છે કે પાછલા બે મહિનાથી શાંતિ પૂર્ણ આંદોલન કરી રહેલા ખેડૂતોને આખરે કોણે ભડકાવ્યા છે? પ્રજાસત્ત્।ાક દિવસના અવસરે દિલ્હીની અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા છતા પ્રદર્શનકારીઓ કઈ રીતે આટલો ઉત્પાત મચાવી શકયા?

(10:22 am IST)