હું શરમ અનુભવી રહ્યો છું
દિલ્હી હિંસાની જવાબદારી સ્વરાજ ઈન્ડિયાના અધ્યક્ષ યોગેન્દ્ર યાદવે લીધી
નવી દિલ્હી, તા.૨૭: દિલ્હીમાં ખેડૂતોની ટ્રેકટર રેલી દરમ્યાન થયેલી હિંસાની જવાબદારી સ્વરાજ ઈન્ડિયાના અધ્યક્ષ યોગેન્દ્ર યાદવે લીધી છે. તેમણે જણાવ્યુ હતુ કે, દિલ્હીમાં બનેલી ઘટના બાદ હું શરમ અનુભવી રહ્યો છું. હિંસાના કારણે ખેડૂતોના આંદોલનને અસર પડી છે. યોગેન્દ્ર યાદવે આ પ્રકારનું નિવેદન એવા સમયે આપ્યું જયારે દિલ્હીને ખેડૂતોએ બાનમાં લીધી હતી. રાજપથથી લાલકિલ્લા સુધી ખેડૂતોએ ઉપદ્રવ મચાવ્યો હતો. જે દરમ્યાન પોલીસ અને વિરોધ કરી રહેલા ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું. જેમા અનેક પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. જયારે આઈટીઓ પાસે પોલીસ પર ટ્રેકટર ચડાવવાની કોશિશ કરતા ટ્રેકટર પલટી ગયું હતુ. જેમા ટ્રેકટર ચાલકનું મોત થયું હતુ.
દિલ્હીમાં ટ્રેકટર રેલી દરમ્યાન ભડકેલી હિંસા અંગે ઓલ ઈન્ડિયા કિસાન સભાના મહાસચિવ હન્ના મૌલાએ નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ હતુ કે, દિલ્હીમાં જેમણે તોડફોડ કરી તેઓ ખેડૂત નથી ખેડૂતોના દુશ્મન છે. આ એક ષડ્યંત્ર છે. દિલ્હીમાં થયેલી હિંસા માટે જે જવાબદાર છે તેની વિરૂદ્ઘ કાર્યવાહી કરવી જોઈએ. ભવિષ્યમાં આવા આંદોલનમાં હિંસક લોકોને ઘુસવાની તક ન આપવી જોઈએ. હવેથી ખેડૂતો શાંતિપૂર્ણ રીતે આંદોલન ચલાવશે.