મુખ્ય સમાચાર
News of Wednesday, 27th January 2021

જીવતા હતાં ત્યારે ભગવાનની જેમ પુજતા હતાં માતા-પિતાનેઃ મૃત્યુ બાદ પુત્રોએ બનાવ્યું મંદિર

કળયુગમાં જયારે પુત્રો માતા-પિતાને છોડી દયે છે ત્યારે કર્ણાટકના પુત્રોએ દાખલો બેસાડયો

કલબુર્ગી, કર્ણાટક, તા.૨૭:  કળયુગમાં જયાં કેટલાંક સંતાનોએ માતા-પિતાને છોડી દીધા અને સેવા નહીં કરતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યાં કર્ણાટકમાં સંતાનોએ માતા-પિતાનું મંદિર બનાવ્યું હોવાનું જાણવા મળે છે. કર્ણાટકના કલબુર્ગીમાં ત્રણેય સંતાનોએ માતા-પિતા જીવતા હતા ત્યાં સુધી તેમની સેવા કરી અને હવે મૃત્યુ બાદ તેમનું મંદિર બનાવ્યું છે. આ મંદિરના નિર્માણ પર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું અને આખા ગામને જમાડ્યા.

મળતી માહિતી મુજબ, કર્ણાટકના કલબુર્ગીના એક ગામમાં રહેતા ખેડૂત એવા વિશ્વનાથ પાત્રેનું ૩ વર્ષ પહેલા નિધન થયું હતું અને તેમની પત્ની લક્ષ્મીબાઈ પાત્રેનું ૬ મહિના પહેલા નિધન થયું. તેમના ત્રણેય સંતાનોએ મળીને એક નાનકડા મંદિરનું નિર્માણ કર્યું અને પોતાના માતા-પિતાની મૂર્તિને આ મંદિરમાં સ્થાપિત કરી.

દીકરાઓએ મંદિરના નિર્માણ માટે ૨ લાખ રૂપિયાનો ખર્ચો કર્યો અને માતા-પિતાને યાદ કર્યા. ગામના લોકોએ પણ તેઓના આ કાર્યની પ્રશંસા કરી. આ સંતાનોએ કહ્યું અમારા માતા-પિતા કહેતા હતા કે શિક્ષિત થઈને સારા નાગરિક બનજો. આ ત્રણેય ભાઈઓમાં અઢળક પ્રેમ જોવા મળી રહ્યો છે.

સૌથી મોટા દીકરાએ કહ્યું કે તે માતા-પિતાની સેવા કરવા માટે શહેરમાંથી ગામ પરત ફર્યો હતો. તેણે કહ્યું કે હું ધોરણ ૧૦ સુધી ભણ્યો છું અને મારા બંને નાના ભાઈ સરકારી નોકરી કરે છે. આ ત્રણેય ભાઈઓના લગ્ન થઈ ચૂકયા છે અને તેમના બાળકો છે.

માતા-પિતાના નિધન બાદ તેમણે પોતાના સંસાધનો એકત્રિત કર્યા અને માતા-પિતાનું મંદિર બનાવવાનો નિર્ણય લીધો. તેમણે આ મંદિર બનાવ્યા પછી તેમાં માતા-પિતાની મૂર્તિ સ્થાપિત કરી. તેઓ આ મંદિરમાં માતા-પિતાની મૂર્તિની પૂજા કરશે.

(10:18 am IST)