ભારતમાં આઠ કરોડ કૂતરા-બિલાડી રસ્તાઓ પર રહે છે
સ્ટેટ ઓફ પેટ હોમલેસનેસ ઈન્ડેક્સ રિપોર્ટનું અનુમાન : રિપોર્ટના અનુમાન પ્રમાણે રખડતા કૂતરા-બિલાડીઓના મામલામાં ભારતને ૧૦માંથી ૨.૪ જ સ્કોર મળ્યો
નવી દિલ્હી, તા.૨૬ : રખડતા કૂતરાઓ ભારતના દરેક શહેર અને ગામડામાં જોવા મળતા હોય છે. જોકે તેનો ચોક્કસ આંકડો અત્યાર સુધી કોઈને નથી ખબર પણ હવે પહેલી વખત એક રિપોર્ટમાં ભારતમાં રસ્તા પર રહેતા કૂતરા અને બિલાડીઓના આંકડાનો અંદાજ આપવામાં આવ્યો છે.
સ્ટેટ ઓફ પેટ હોમલેસનેસ ઈન્ડેક્સ રિપોર્ટના અનુમાન પ્રમાણે ભારતમાં આઠ કરોડ કૂતરા અને બિલાડીઓ રસ્તા પર રહે છે.રખડતા કૂતરા અને બિલાડીઓના મામલામાં ભારતને ૧૦માંથી ૨.૪ જ સ્કોર મળ્યો છે.
ભારતમાં અપેક્ષા કરતા ઓછી પ્રાણીઓની નસબંધી, વેક્સીનેશન અને હડકવાનુ પ્રમાણ તેમજ પ્રાણીઓને લગતા કાયદાનો અભાવ ઓછી રેટિંગ માટે જવાબદાર છે.
ભારતમાં રસ્તા પર ૮ કરોડ કૂતરા અને બિલાડીઓ રહે છે.એટલુ જ નહીં જાનવરોને પાળનારા લોકો પૈકીના ૫૦ ટકાએ કબૂલ્યુ છે કે, તેમણે ઓછામાં ઓછુ એક પાળેલુ પ્રાણી બાદમાં રસ્તા પર છોડી દીધુ હતુ.
ભારતમાં ૮૨ ટકા કૂતરાઓને સ્ટ્રીટ ડોગ્સ ગણવામાં આવે છે અને ૫૩ ટકા લોકોને તે ખતરો લાગે છે.૬૫ ટકા લોકો કુતરાથી ડરે છે અને ૮૨ ટકા લોકોનુ માનવુ છે કે, ગલીઓમાંથી કુતરાઓને દુર કરવા જોઈએ અને તેમને શેલ્ટર્સમાં રાખવા જોઈએ.