જ્યાં સુધી દેશના દરેક વ્યક્તિને ઘર નહીં મળે ત્યાં સુધી પીએમ મોદીની દાઢીમાંથી ઘરના ઘર ખરતા રહેશે, પીએમ મોદીની દાઢીમાં ઘરના ઘર છે, તેઓ જ્યારે પણ પોતાની દાઢી પર હાથ ફેરવે છે ત્યારે ક્યારેક પચાસ લાખ તો ક્યારેક એક કરોડ ઘર તેમાંથી નિકળે છેઃ મધ્યપ્રદેશના સાંસદ જર્નાદન મિશ્રાએ પીએમ મોદીના વખાણ કરવામાં તમામને પાછળ છોડી દીધા
પોતાના નિવેદન અંગે સાંસદે સ્પષ્ટતા કરતા કહ્યુ કે, ગામના લોકોમાં અફવા ફેલાઈ હતી કે પીએમ આવાસ યોજના બંધ થવાની છે અને તેમનો ભ્રમ દુર કરવા માટે મારે આવુ નિવેદન આપવુ પડ્યુ હતુ.
ભોપાલઃ ખુશામતખોરી રાજકારણનો એક અભિન્ન હિસ્સો રહી છે. જોકે ક્યારેક ક્યારેક નેતાઓ વધારે પડતા વખાણ કરીને હાંસીપાત્ર બનતા હોય છે. મધ્યપ્રદેશના સાંસદ જર્નાદન મિશ્રાએ પીએમ મોદીના વખાણ કરવામાં તમામને પાછળ છોડી દીધા છે.
સાંસદે એક કાર્યક્રમમાં પોતાના મતદારો સમક્ષ પીએમ મોદીની દાઢીની સરખામણી પીએમ આવાસ યોજના સાથે કરી નાંખી હતી. જર્નાદન મિશ્રાએ કહ્યુ હતુ કે, જ્યાં સુધી દેશના દરેક વ્યક્તિને ઘર નહીં મળે ત્યાં સુધી પીએમ મોદીની દાઢીમાંથી ઘરના ઘર ખરતા રહેશે. પીએમ મોદીની દાઢીમાં ઘરના ઘર છે. તેઓ જ્યારે પણ પોતાની દાઢી પર હાથ ફેરવે છે ત્યારે ક્યારેક પચાસ લાખ તો ક્યારેક એક કરોડ ઘર તેમાંથી નિકળે છે.
તેમણે કહ્યુ હતુ કે, પીએમ મોદીની દાઢી અને પીએમ આવાસ યોજના અમર છે. બંને ક્યારેય ખતમ નહીં થાય.
દરમિયાન પોતાના નિવેદન અંગે સાંસદે સ્પષ્ટતા કરતા કહ્યુ હતુ કે, ગામના લોકોમાં અફવા ફેલાઈ હતી કે પીએમ આવાસ યોજના બંધ થવાની છે અને તેમનો ભ્રમ દુર કરવા માટે મારે આવુ નિવેદન આપવુ પડ્યુ હતુ.લોકો સમજે તેવી ભાષામાં સમજાવવા માટે મેં આવુ નિવેદન આપ્યુ હતુ.