મુખ્ય સમાચાર
News of Friday, 26th November 2021

NEETમાં EWS કવોટા માટે રૂપિયા ૮ લાખ સુધી મર્યાદા વધવાની સંભાવના

PG NEETના પ્રવેશમાં આર્થિક રીતે નબળા વર્ગ માટે અનામતમાં આવકની મર્યાદા વધારવાનો કેન્દ્ર સરકારનો સંકેત

નવી દિલ્હી, તા.૨૬: આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ના વિદ્યાર્થીઓ કે જેઓ ડોકટર બનવાની ઈચ્છા ધરાવે છે તેમને સરકાર તરફથી વધુ મદદ મળવાના સંકેત મળ્યા છે. કેન્દ્ર સરકારે પોસ્ટ ગ્રેજયુએટ મેડિકલ કોર્સ માટે NEETના પ્રવેશમાં EWSની કેટેગરીનો માપદંડ નિર્ધારિત કરવા વાર્ષિક ૮ લાખ રૂપિયાની મર્યાદા કરવા અંગે પુનઃ વિચારનો સંકેત આપ્યો છે. સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે, આર્થિક રીતે નબળા વર્ગના માપદંડ માટે બનાવાયેલી સમિતિની રચના કરાશે અને તેની પ્રક્રિયામાં ચાર અઠવાડિયાનો સમય લાગશે.

આ મામલે જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ, સુર્યકાંત અને વિક્રમ નાથની બેન્ચ સમક્ષ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રજૂઆત કરી કે, 'કોર્ટને અગાઉ આપેલી બાંહેધરી પ્રમાણે NEET કાઉન્સેલિંગ વધુ ચાર અઠવાડિયા માટે મોકૂફ રાખવામાં આવશે. નોંધનીય છે કે, ચાલુ શૈક્ષણિક વર્ષમાં NEET-PGમાં પ્રવેશ માટે અન્ય પછાત વર્ગોને ૨૭% અને EWS કેટેગરીને ૧૦ અનામતની કેન્દ્ર અને મેડિકલ કાઉન્સેલિંગ કમિટીની ૨૯ જુલાઈની નોટિસને કોર્ટમાં પડકારવામાં આવી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર દ્વારા EWS કેટેગરીમાં આવક મર્યામાં ફેરફાર કરવાની માહિતી આપવામાં આવી હતી.

આ અંગે જસ્ટિસ કાંત દ્વારા જણાવાયું હતું કે, આર્થિક રીતે પછાત વર્ગનો કવોટા પ્રગતિશીલ અનામત છે અને તમામ રાજયોએ કેન્દ્ર સરકારના આ પગલાને ટેકો આપવો જોઈએ. બેન્ચે આ અંગે જણાવ્યું કે, માત્ર પ્રશ્ન એટલો છે કે કેટેગરી નિર્ધારિત કરવાની પદ્ઘતિ વૈજ્ઞાનિક હોવી જોઈએ અને કોર્ટ કેન્દ્રના અગાઉ નિર્ધારિત કરેલા માપદંડની સમીક્ષા કરવાના નિર્ણયને આવકારે છે.

વિદ્યાર્થીઓ તરફથી હાજર રહેલા એડવોકેટ અરવિંદ દાતાએ જણાવ્યું હતું કે, ઘણો સમય પસાર થઈ ચૂકયો હોવાથી કેન્દ્ર સરકારે EWS કવોટાનો અમલ આગામી શૈક્ષણિક વર્ષમાં કરવો જોઈએ. ચાલુ વર્ષમાં કાઉન્સેલિંગને શરૂ કરવાની મંજૂરી આપવી જોઈએ.

આ અંગે બેન્ચે મહેતાને પૂછ્યું હતું કે સરકાર આ બંધારણીય ફેરફારોનો અમલ આગામી શૈક્ષણિક વર્ષ સુધી ઠેલી શકે? જેના જવાબમાં મહેતાએ કહ્યું કે, સરકારે ચાલુ શૈક્ષણિક વર્ષમાં જ બંધારણીય ફેરફાર લાગુ કરવાનો નિર્ણય લીધો છે અને તેને પાછળ ઠેલવો યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે આ કવાયત માટે ચાર અઠવાડિયાનો સમય લાગશે અને સરકાર દ્વારા અપાયેલી ખાતરીને કારણે કાઉન્સેલિંગની તારીખ મોકૂફ રાખવામાં આવશે. કોર્ટની અગાઉની કાર્યવાહીમાં કાઉન્સેલિંગની તારીખને પાછળ ઠેલવા અંગે રજૂઆત કરવામાં આવી હતી.

બીજી તરફ અન્ય પછાત (OBC) તરફથી હાજર થયેલા એડવોકેટ શશાંક રત્નુએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર EWS માપદંડની સમીક્ષા કરવા માગતી હોવાથી ઓબીસી વિદ્યાર્થીઓની અનામત અરજી પાછળ ઠેલાવી જોઈએ નહીં. જોકે, કોર્ટે ઓબીસી વિદ્યાર્થીઓ અંગે કશું કહ્યું નથી તે અરજીનો નિકાસ કરવા માગતી નથી. આ પછી કોર્ટે મહેતાનું નિવેદન નોંધ્યું હતું અને કેસની આગામી સુનાવણી ૬ જાન્યુઆરીએ નિર્ધારિત કરવામાં આવી છે.

(10:10 am IST)