ક્રીમીલેયર મર્યાદા ૮ લાખથી વધારવાનો નિર્ણય ટૂંકમાં થશે
આર્થિક રીતે નબળા વર્ગવાળાનો ક્રાઈટેરિયા બદલાશે : આ નિર્ણય લાગુ થશે તે સાથે જ એક મોટા વર્ગને ફાયદો થઈ શકે છે અને સૌને સમાન અવસર મળી શકશે
નવી દિલ્હી, તા.૨૫ : કેન્દ્રની મોદી સરકાર હવે ઓબીસી અનામત વધારવાનો નિર્ણય લઈ શકે છે. સુપ્રીમ કોર્ટે ગુરૂવારે કેન્દ્રને જણાવ્યું કે, તે ક્રીમી લેયરની લિમિટ વધારવાની છે. હાલ વર્તમાનમાં ક્રીમી લેયરની મર્યાદા ૮ લાખની છે પરંતુ હવે સરકાર તેને વધારવાની છે. આગામી ૪ સપ્તાહની અંદર આ મામલે મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે.
કેન્દ્રએ કોર્ટને જણાવ્યું કે, હવે તે આર્થિક રીતે નબળા વર્ગવાળા ક્રાઈટેરિયાને બદલવા જઈ રહી છે. અત્યાર સુધી જે ઉમેદવારના પરિવારની વાર્ષિક આવક ૮ લાખ કરતા ઓછી હતી તેમને ઈડબલ્યુએસમાં રાખવામાં આવતા હતા. પરંતુ હવે અહીં જ મહત્વનું પરિવર્તન થશે. સરકાર આ ૮ લાખવાળી લિમિટ વધારવા જઈ રહી છે. આ નિર્ણય લાગુ થશે તે સાથે જ એક મોટા વર્ગને ફાયદો થશે અને સૌને સમાન અવસર મળી શકશે. જોકે હાલ એ અંગેની કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી કે, સરકાર આ ક્રીમી લેયરમાં કેટલું પરિવર્તન કરવા જઈ રહી છે. જોકે કેટલાક લોકો ૧૦ લાખના ક્રાઈટેરિયાને લાગુ કરાવવા ઈચ્છે છે તો કેટલાક લોકો ૧૨ લાખ સુધીની માગણી કરી રહ્યા છે. હવે સરકાર કઈ બાજુ નમે છે તે ૪ સપ્તાહની અંદર સ્પષ્ટ થઈ જશે.