૧ લાખ દિવાઓથી ઝગમગી ઉઠશે અયોધ્યા
છત્તીસગઢના રાયપુરમાં ગોબરમાંથી મહિલા સહાયતા ગ્રુપ બનાવે છે દિવાઓ
રાયપુરઃ આ દિવાળીએ રામનગરી અયોધ્યા છત્તીસગઢના રાયપુરમાં ગોબરમાંથી બનેલા ૧ લાખ દિવાઓથી ઝગમગી ઉઠશે. રાયપુર અયોધ્યાની દિવાળીમાં ભાગીદાર બને તેવો આ પહેલો મોકો હશે. રાયપુરની એક સેવા સમિતિ ૭૫ હજાર દિવાઓ સપ્લાય કરી ચૂકી છે જયારે બાકીના ૨૫ હજાર દિવાઓ બનાવવામાં મહિલા સ્વ સહાયતા ગ્રુપ દિવસ રાત એક કરી રહ્યા છે. આગામી ૨-૩ દિવસમાં આ દિવાઓ પણ મોકલી અપાય તેવી શકયતા છે.
સમિતિના ઉપાધ્યક્ષ રિતેશે જણાવ્યું કે તેમને આ ઓર્ડર અયોધ્યા રામમંદિર સેવા સમિતિના હોદેદાર સેવકરામ સિંહ દ્વારા આપવામાં આવ્યો છે. આ દિવાઓ ગોકુલ નગર ગૌશાળામાં તૈયાર થઇ રહ્યા છે. મળતી માહિતી અનુસાર, મધ્યપ્રદેશમાંથી પણ આવ જ રીતે ગોબરમાંથી બનેલ શ્રીરામ લખેલા દિવાઓ મોકલાઇ રહ્યા છે.
રિતેશે કહ્યું કે ગોબરના દિવાઓની પડતર થોડી વધારે લાગે છે. ગોબર ખરીદવું પડે છે પછી તેને બનાવવા માટે માળખું ઉભું કરવું પડે છે. મહિલા સ્વ સહાયતા ગ્રુપોનું મહેનતાણું પણ કાઢવું પડે છે. એટલે એક દિવાની કિંમત લગભગ ૧૫૦ રૂપિયા રાખી છે. લોકો પસંદ તો કરે છે પણ મોંઘા હોવાના કારણે બધા લોકો નથી ખરીદતા.