વડાપ્રધાન નરેન્દ્રમોદીએ ગૃહ મંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથસિંહ સાથે યોજી બેઠક
બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ રહ્યા હાજર : પીએમ નરેન્દ્ર મોદીએ આશરે અઢી કલાક બેઠક યોજી
નવી દિલ્હી, તા.૨૬ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ સાથે બેઠક કરી છે. આ બેઠક આશરે અઢી કલાક ચાલી હતી.
બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ અમિત શાહ સાથે એક કલાક વાતચીત કરી છે. સૂત્રો અનુસાર પીએમ મોદીએ પોતાના અમેરિકા પ્રવાસ સંબંધિત રણનીતિક વાતચીત અને જાણકારીઓની માહિતી આપી છે.
મહત્વનું છે કે પીએમ મોદી આજે અમેરિકાથી પરત ફર્યા છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત પાર્ટી નેતાઓએ રવિવારે અમેરિકાથી પરત ફરેલા પ્રધાનમંત્રીનું પાલમ એરપોર્ટ પર ગર્મજોશીથી સ્વાગત કર્યુ હતું. ભાજપ અધ્યક્ષે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે મોદીની બેઠકો, ક્વાડ બેઠક અને સંયુક્ત રાષ્ટ્રમાં મોદીના સંબોધનનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, પ્રધાનમંત્રીએ દ્રઢતાથી અને સ્પષ્ટ રૂપથી આતંકવાદઅને વિસ્તારવાજ જેવા વૈશ્વિક મુદ્દા અને ખતરા પર ભારતના વિચારોને રાખ્યા છે.
અમેરિકાની યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૭૬માં સત્રમાં સંબોધન કર્યુ હતું. તેમણે નામ લીધા વગર પાકિસ્તાન અને ચીન પર નિશાન સાધ્યુ હતું. તેમણે કહ્યું હતું કે જે દેશ આતંકવાદને પોલિટિકલ ટૂલના રૂપમાં ઉપયોગ કરે છે તેણે તે ન ભૂલવું જોઈએ કે આતંકવાદ તેના માટે પણ ખતરો છે.
આ સાથે અફઘાનિસ્તાનના મુદ્દા પર કહ્યુ કે તે નક્કી કરવું જોઈએ કે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંક ફેલાવવા માટે કરવામાં આવે નહીં.