શિવરાજે મતદારોને કરી અપીલ
ચૂંટણીમાં 'હાથ' ને સંપૂર્ણપણે સેનેટાઈઝ કરી સાફ કરવા પડશે
ભોપાલ, તા.૨૬: મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે આગામી બિહાર વિધાનસભાની ચૂંટણીઓ અને મધ્ય પ્રદેશ, કર્ણાટકની પેટા-ચૂંટણીઓમાં મતદારોને કોંગ્રેસને હરાવવા અપીલ કરી છે. સીએમ શિવરાજે ટ્વિટ કરીને લખ્યું, મારા પ્રિય મિત્રો! મધ્યપ્રદેશ, બિહાર અને કર્ણાટક સહિત દેશભરમાં અનેક સ્થળોએ ચૂંટણી યોજાનાર છે. આપણે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચની માર્ગદર્શિકાઓની સંપૂર્ણ કાળજી લેવી પડશે. 'હાથ' સંપૂર્ણપણે સેનિટાઈઝ કરી સાફ કરવા પડશે.
આપને જણાવી દઈએ કે આ ટ્વિટ દ્વારા શિવરાજસિંહે લોકોને કોરોના રક્ષણ માટે સાવચેતી રાખવાની અપીલ કરી છે, બીજી તરફ કોંગ્રેસને પણ નિશાન બનાવી છે. તેમનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
મહત્વનું છે કે, ચૂંટણી પંચે શુક્રવારે બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખોની દ્યોષણા કરી દીધી છે. મધ્યપ્રદેશમાં સંભવિત પેટા-ચૂંટણીઓની તારીખો ૨૯ સપ્ટેમ્બરના રોજ જાહેર થવાની સંભાવના છે.