બીજેપીના બંગાળ બંધના એલાન દરમિયાન હિંસાઃ સમર્થકોએ બસમાં આગ લગાવી-ટ્રેનો રોકી
ગયા સપ્તાહે પોલિસ ફાયરીંગ દરમિયાન છાત્રોના મોતના વિરોધમાં ૧૨ કલાક બંધનું એલાન
કલકત્તા તા. ૨૬ : ૫શ્ચિમ બંગાળમાં છેલ્લાં કેટલાય સમયથી ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. ગયા સપ્તાહે પોલીસ ફાયરિંગમાં અમુક વિદ્યાર્થીઓના મોતના વિરોધમાં આજે ભારતીય જનતા પાર્ટીએ બંગાળ બંધનું એલાન કર્યું છે. બીજેપીએ આજે ૧૨ કલાક માટે બંધના એલાનની જાહેરાત કરી છે.
સવારથી જ પશ્ચિમ બંગાળના પૂર્વ બર્દવાન જિલ્લાના નાદનઘાટ વિસ્તારમાં બીજેપી કાર્યકરોએ ટ્રેન રોકી હતી. આ દરમિયાન ઘણી ગાડીઓને પણ રોકવામાં આવી હતી. બીજેપી બંધને ધ્યાનમાં રાખીને રાજય સરકારે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. કૂચ બિહારમાં બંધ સમર્થકોએ સરકારી બસોને તોડી છે જયારે ઘણી જગ્યાએ ટ્રેન રોકવામાં આવી છે. તે સાથે જ સરકારી બસોમાં આગ લગાડવાના કિસ્સા પણ સામે આવ્યા છે.
મિદનાપુરમાં સરકારી બસ સળગાવી દેવામાં આવી છે. બીજેપી નેતા રાહુલ સિન્હાના જણાવ્યા પ્રમાણે રાજય સરકારે લોકતંત્રને નુકસાન પહોંચાડ્યું છે. તે વિરુદ્ઘ જ અમે બંધની જાહેરાત કરી છે. અમને લોકોનું સમર્થન મળી રહ્યું છે.(૨૧.૯)