જસ્ટિસ રંજન ગોગોઈની મુખ્ય ન્યાયાધિશ તરીકે નિમણૂકને સુપ્રીમ કોર્ટમાં પડકાર :કાલે સુનાવણી
મુખ્ય ન્યાયાધિશ દીપક મિશ્રા,ન્યાયાધિશ એ.એમ.ખાનવિલકર અને ડી.વાય.ચંદ્રચૂડની બેન્ચ સુનાવણી કરશે
નવી દિલ્હીઃ જસ્ટિસ રંજન ગોગોઈની આગામી મુખ્ય ન્યાયાધિશ તરીકેની નિમણૂકને સુપ્રીમકોર્ટમાં પડકારાઈ છે આ નિમણૂકને પડકારતી અરજી પર સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટે તૈયારી દર્શાવી છે. મુખ્ય ન્યાયાધિશ દીપક મિશ્રા, ન્યાયાધિશ એ.એમ. ખાનવિલકર અને ડી.વાય. ચંદ્રચૂડની બેન્ચે અરજીકર્તા વકીલ આર.પી. લુથરાને કોર્ટ માસ્ટર સામે આ અંગેનો મેમો ફાઈલ કરવા જણાવ્યું છે. સર્વોચ્ચ અદાલત બુધવારે આ મામલે સુનાવણી હાથ ધરશે.
બેન્ચ સમક્ષ અરજી કરતાં લુથરાએ જણાવ્યું હતું કે,આ અત્યંત અરજન્ટ બાબત હોવાથી સુપ્રીમ દ્વારા તેની ચોક્કસ તારીખ નક્કી કરવી જોઈએ અરજીનો જવાબ આપતાં બેન્ચે જણાવ્યું કે, "તમે રાહ જુઓ અને જૂઓ. તમે આ અંગેનો ઉલ્લેખ કરતી અરજી દાખલ કરો, અમે જોઈ લઈશું
વકીલ સત્યવીર શર્મા સાથે દાખલ કરેલી અરજીમાં લુથરાએ જણાવ્યું કે,તેઓ કાયદાની દૃષ્ટિએ એ જાણવા માગે છે કે જેમાં 12 જાન્યુઆરીના રોજ સર્વોચ્ચ અદાલતના ચાર સિનિયર ન્યાયાધિશ (જસ્ટિસ ચેલમેશ્વર (હવે નિવૃત્ત),રંજન ગોગોઈ,મદન બી.લોકુર અને કુરિયન જોસેફ) દ્વારા પત્રકાર પરિષદમાં જે માહિતી રજૂ કરાઈ હતી તે યોગ્ય હતી કે નહીં.