તીર પણ લાગ્યું અને દુઃખાવો પણ ના થયોઃ આઝાદ
વડાપ્રધાનની સર્વપક્ષીય બેઠકના ગુલામ નબી આઝાદે કર્યા વખાણ
નવી દિલ્હી, તા.૨૬: જમ્મુ કાશ્મીર બાબતે સર્વપક્ષીય બેઠક પછી લાગી રહયું છે કે આ કેન્દ્રશાસિત પ્રદેશમાં ઝડપથી રાજકીય પ્રક્રિયાઓ આગળ વધી શકે છે. મીટીંગમાં કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ કરનાર ગુલામ નબી આઝાદે કહયું કે મીટીંગની સફળતાનું શ્રેય બધા પક્ષોને જાય છે જેમણે તેમાં ભાગ લીધો. આઝાદે કહયું કે મીટીંગમાં ઉપસ્થિત જમ્મુ કાશ્મીરના બધા પક્ષોએ પોતાનો ગુસ્સો પણ વ્યકત કર્યો પણ કંઇક એવી રીતે કે તીર લાગ્યું પણ ખરૃં અને દર્દ પણ ના થયું.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે જમ્મુ કાશ્મીર બાબતે વડાપ્રધાન મોદી દ્વારા બોલાવાયેલી સર્વપક્ષીય બેઠકમાં આ કેન્દ્ર શાસીત પ્રદેશ માટે પુર્ણ રાજયનો દર્જો ચાલુ કરવા, ચુંટણી યોજવા અને કાશ્મીરી પંડીતોને પાછા લાવવાનું સુનિશ્ચિત કરવાની માંગણી કરી. પક્ષના સીનીયર નેતા ગુલામ નબી આઝાદ અનુસાર, કોંગ્રેસ દ્વારા એવી પણ માંગણી કરાઇ કે જમીન અને રોજગારના મામલામાં રાજયના ડોમીસાઇલની ગેરંટી આપવામાં આવે અને રાજકીય કેદીઓને મુકત કરવામાં આવે.
આ સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસ તરફથી આઝાદ પ્રદેશ કમિટિના અધ્યક્ષ ગુલામ અહમદ મીર અને ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન તારાચંદ સામેલ થયા હતા. વડાપ્રધાનના નિવાસ સ્થાને યોજાયેલ આ બેઠક પછી આઝાદે પત્રકારને કહયું, 'અમે આ બેઠકમાં પાંચ મુદાઓ ઉઠાવ્યા છે. પહેલો જમ્મુ કાશ્મીરને પુર્ણ રાજયનો દરજજો પાછો આપવામાં આવે, બીજો ત્યાં ચુંટણી કરાવવામાં આવે. જમ્મુ કાશ્મીરમાં ઘણા લાંબા સમયથી રાજયના ડોમીસાઇલના નિયમો રહયા છે એટલે કેન્દ્ર સરકારે ગેરંઠી આપવી જોઇએ કે પાછા લાવવામાં આવે. પાંચમો મુદો ૫ ઓગષ્ટ ૨૦૧૯ના રોજ ૩૭૦ હટાવ્યા પછી જે લોકોને રાજકીય બંદી બનાવાયા છે તે બધાને છોડી મુકવામાં આવે.'