મુંબઈમાં ૧૫ જૂને ચોમાસુ શરૂ થવાની આગાહી સામે ૨૬ થી ૩૦ જૂનની આગાહી
ભારતીય વેધશાળાની આગાહીઓ સામે પ્રશ્નો
મુંબઈ, તા. ૨૬ :. ભારતીય મોસમ વિભાગ દ્વારા મંગળવારે ચોમાસુ બેસી ગયાની કરાયેલી જાહેરાત પછી અન્ય સ્વતંત્ર મોસમ વિજ્ઞાનીઓએ તારીખો સામે વાંધો ઉભો કર્યો હતો.
બ્રિટનની યુનિવર્સિટી ઓફ રીડીંગમાં હવામાન વિભાગના પીએચડી રીસર્ચર અને હવામાન શાસ્ત્રી અક્ષય દેવરાએ કહ્યું કે, કેરળમાં ચોમાસુ આવી પહોંચવાની જાહેરાત કરવી અઘરી નથી પણ દેશના અન્ય ભાગોમાં ચોમાસુ આવી પહોંચવાની જાહેરાત કરવા માટે વરસાદ, વાદળોની ઘટ્ટતા અને પવન દિશા અને ઝડપ વગેરે પેરામીટર જોવા પડતા હોય છે. તેના કહેવા અનુસાર ઘણીવાર અન્ય પેરામીટર ઉપર ધ્યાન આપ્યા વિના ફકત વરસાદ પર જ ધ્યાન અપાતુ હોય છે.
હાલમાં જ વિદર્ભ, મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં ૨૨ થી ૨૪ જૂને ચોમાસાના આગમનની જાહેરાત કરાઈ છે અને ત્યાં ચોમાસા પહેલાના છાંટા જ પડયા હોવાનું જોવાયુ હતું. ૧૫ જૂને મુંબઈમાં ચોમાસુ આવી પહોંચ્યાની જાહેરાત કરાઈ હતી ત્યારે ત્યાં માંડ બે ઈંચ જેવો વરસાદ થયો હતો તેની સરખામણીએ અત્યારે ચોમાસાની વધારે સ્થિતિ જોવા મળી રહી છે.
મુંબઈમાં ખરેખર સક્રિય ચોમાસુ ૨૬ થી ૩૦ જૂન દરમ્યાન જોવા મળશે.