શ્રી સ્વામિનારાયણ મંદિર, ટોરન્ટો - કેનેડા* પાંચમા પાટોત્સવ પર્વે વૃક્ષારોપણ: ૫૦૦૦૦ હજાર વૃક્ષારોપણ કરવા તે પૈકી પ્રથમ પરમ પૂજ્ય બાપાના હસ્તે વૃક્ષારોપણ
ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોનું પોતાનું મહત્વપૂર્ણ સ્થાન રહ્યું છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રીમાં વાતાવરણની શુદ્ધતા માટે વિશેષ વૃક્ષોનું મહત્વ બતાવ્યું છે. સમગ્ર વિશ્વમાં પર્યાવરણ સામે ખતરો પેદા થઈ ગયો છે. કુદરતી સંસાધનોનો નાશ થઈ રહ્યો છે. અને તેના પરિણામે સમગ્ર વિશ્વ પર જળવાયુ પરિવર્તન મોટો ખતરો તોળાઇ રહ્યો છે. જળ વાયુ પરિવર્તનના કારણે અનેક દેશોમાં ઋતુચક્રમાં પરિવર્તન આવ્યો છે તો વિશ્વના તાપમાનમાં પણ વધારો થયો છે. ગ્લેશિયરો ઓગળવા લાગ્યા છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ, ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેન્ટ ચેન્જ જેવી પર્યાવરણીય સમસ્યાઓ એ વૈશ્વિક કક્ષાની સમસ્યાઓ છે. દરેક જાતિ, ધર્મ અને સંસ્કૃતિમાં વૃક્ષ અને પશુ-પક્ષી પૂજ્ય અને અવધ્ય છે. ભારતમાં તો તેની સુદીર્ઘ પરંપરા છે. પરંતુ પારસીઓમાં, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાની જનજાતિઓ માં, રેડ ઇન્ડિયન્સમાં ઓસ્ટ્રેલિયા, જાવા સુમાત્રા, બર્મા, ચિન, તિબેટીઓ વગેરેમાં અનેક વૃક્ષો, છોડ અને પશુપક્ષી પૂજ્ય છે. આપણે કહીએ છીએ કે, છોડમાં રણછોડ છે... ૨૧મી સદીનો માણસ જંગલો કે નગરોના વૃક્ષોનું નિકંદન કાઢીને ત્યાં ઔદ્યોગિક વસાહતો કે માનવ વસાહતો ઊભી કરવાની હોડ લગાવી રહ્યો છે, ત્યારે આપણા ઋષિ-મુનિઓએ અરણ્યમાં નિવાસ કરીને અરણ્ય, વૃક્ષો, વનસ્પતિ, ઔષધિ, પુષ્પ, પર્ણો, ફળોનો મહિમા સમજાવીને માનવ જીવનમાં વૃક્ષોનું મહત્વ પ્રસ્થાપિત કર્યું છે. પ્રાકૃતિક સંપદાના સંરક્ષણ માટે શ્રી સ્વામિનારાયણ મંદિર, ટોરંટો - કેનેડા ખાતે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના સાનિધ્યમાં 50,000 વૃક્ષોનું રોપણ કરવામાં આવનાર છે. તેમાં પ્રથમ વૃક્ષનું રોપણ શ્રી સ્વામિનારાયણ મંદિર, ટોરંટો - કેનેડા ખાતે આચાર્ય સ્વામીજી મહારાજે કર્યું હતું.
આ પ્રસંગે મિ. ગ્રે આનંદ સંગારી - મેમ્બર ઓફ પાર્લામેન્ટ, મિ. જહોન નીકી - મેમ્બર ઓફ પાર્લામેન્ટ, મિટઝી હંટર - મેમ્બર ઓફ પ્રો.પાર્લામેન્ટ, જેનિફર મેકલવી - સીટી કાઉન્સિલર, ફોર્મર પ્રેસિડન્ટ ઓફ સ્કોરબોરો કોમ્યુનિટી રીનેવલ, સેનટીનીયલ કોમ્યુનિટી રિક્રિએશન એસોસીએશન, પોલ એન સીલે - સિટી કાઉન્સીલર તથા મેયર્સ એક્ઝિક્યુટિવ કમિટી... વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.