મુખ્ય સમાચાર
News of Friday, 26th May 2023

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ લોકોને નુકસાન પહોંચાડી શકે છે

ગુગલના સીઈઓની ચેતવણી ઃ શ્મિટે ઝડપથી વિકસતી ટેક્નોલોજીથી સંભવિત *અસ્તિત્વીય જોખમો* વિશે ચેતવણી આપી હતી

વોશિંગ્ટન, તા.૨૬ ઃ ગૂગલના પૂર્વ સીઈઓ એરિક શ્મિટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને લઇ ચિંતા વ્યક્ત કરી છે.  તેમણે કહ્યું છે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ નજીકના ભવિષ્યમાં લોકોને નુકસાન પહોંચાડી શકે છે. શ્મિટે ઝડપથી વિકસતી ટેક્નોલોજીથી સંભવિત *અસ્તિત્વીય જોખમો* વિશે ચેતવણી આપી હતી અને એઆઈને નિયંત્રિત કરવા માટેના નિયમો ઘડવા અંગે પણ વાત કરી હતી.

એઆઈ પર ચિંતા વ્યક્ત કરતા ગૂગલના પૂર્વ સીઈઓએ કહ્યું હતું કે, લોકોને ગંભીર નુકશાન પહોંચાડવાથી લઈને માણસને મૃત્યુ સુધી આ એઆઈ લઈ જઈ શકે છે.બુધવારે વોલ સ્ટ્રીટ જર્નલની સીઈઓ કાઉન્સિલની બેઠક દરમિયાન બોલતા તેમણે ટિપ્પણી કરી હતી કે, આજે એટલી સમસ્યા નથી પણ નજીકના ભવિષ્યમાં ઝીરો ડે એક્સપ્લોટ, સાઈબર સમસ્યા અને નવી બાયોલોજીકલ બીમારીઓનો સામનો કરવો પડશે.

આ ટેકનોલોજીથી ભવિષ્યમાં થનારી મુશ્કેલીઓ અંગે ચેતવણી આપી અને એઆઈને રેગ્યુલેટ કરવા નિયમો લાવવા અંગે પણ વાત કરી હતી. શ્મિટે ૨૦૦૧ થી ૨૦૧૧ સુધી ગુગલ સીઈઓ અને ૨૦૧૫ થી ૨૦૧૭ સુધી  આલ્ફાબેટના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે સેવા આપી હતી.

ગૂગલના  પૂર્વ સીઈઓ ઉપરાંત યુકેના પ્રધાનમંત્રી ઋષિ સુનકે પણ હાલમાં ઓપન એઆઈ, ગુગલ ડીપમાઈન્ડ અને એન્થ્રોપિકના માલિકો સાથે મુલાકાત કરી એઆઈ પરના ખતરા વિશે વાત કરી હતી. આ કંપનીઓએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે, ટ્રાન્સફોર્મેશન ટેકનોલોજીને કારણે થતા નુકશાન માટે તેઓ સાથે મળીને કામ કરશે. જોકે, કેટલી ટેક કંપનીના સીઈઓએ તેમનો વિરોધ પણ કર્યો છે.

(8:22 pm IST)