મુખ્ય સમાચાર
News of Friday, 26th May 2023

રૂા.૫૦૦ની નોટનું છાપકામ ઝડપી બનાવવા રિઝર્વ બેંકનો આદેશ

ચાર પ્રિન્‍ટિંગ પ્રેસને ૨૪ કલાક કામ કરવાની સૂચના જારી કરાઈ

નવી દિલ્‍હીઃ રૂપિયા ૨૦૦૦ ની નોટનું ચલણ બંધ થયા બાદ ભારતીય રિઝર્વ બેંક તરફથી નવો ઓર્ડર આવ્‍યો છે. ૨૦૦૦ની નોટ બદલવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયાએ પ્રિન્‍ટિંગ પ્રેસને અઠવાડિયાના ૭ દિવસ દિવસના ૨૪ કલાક કામ કરવા માટે કહ્યું છે. જણાવી દઈએ કે, ૨૩ મેથી ૨૦૦૦ની નોટ બદલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, આવી સ્‍થિતિમાં લોકો મોટી માત્રામાં ૨૦૦૦ લઈને બેંકોમાં પહોંચી રહ્યા છે. રૂપિયા ૫૦૦ ની નોટ નું છાપકામ ખૂબ જ ઝડપથી કરાવવામાં આવી રહ્યું છે.

અડધો દિવસ પણ પૂરો થતો નથી કે બેંકોમાં ૫૦૦ની નોટોની અછત સર્જાઈ છે. હવે તેને સપ્‍લાય કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયાએ પ્રિન્‍ટિંગ પ્રેસને ૨૪ કલાક નોટો છાપવા માટે કહ્યું છે.

જ્‍યારથી ૨૦૦૦ની નોટોનું ચલણ બંધ થયું છે ત્‍યારથી દરેક જગ્‍યાએ અરાજકતાનો માહોલ છે. નોટ બદલવાના કારણે બેંકોમાં રોકડની અછત જોવા મળી રહી છે. આવી સ્‍થિતિમાં ભારતીય રિઝર્વ બેંકે ચારેય નોટો છાપનાર પ્રિન્‍ટિંગ પ્રેસને નોટોનો પુરવઠો પૂરો કરવા માટે દિવસ-રાત કામ કરવા જણાવ્‍યું છે. જેથી લોકોને પુરતી ૫૦૦ની નોટ મળી શકે.  આ સમયે બજારમાં લગભગ ૨૪ હજાર કરોડ એટલે કે ૩ લાખ કરોડ ૨૦૦૦ની નોટો છે. જેને ચલણમાંથી બહાર કાઢવામાં આવ્‍યા છે.

આરબીઆઈના જણાવ્‍યા અનુસાર, અત્‍યારે પણ પ્રિન્‍ટિંગ પ્રેસ પોતાનું શ્રેષ્ઠ આપીને જ કામ કરી રહી છે. પરંતુ આવનારા સમયમાં ૨૦૦૦ની નોટ એક્‍સચેન્‍જ માટે પ્રિન્‍ટિંગ પ્રેસે તેની ઝડપ ૪૦ ટકા વધારવી પડશે. જેથી આગામી ૫ મહિનામાં ૨૦૦૦ની નોટ બદલવાનો લક્ષ્યાંક પૂરો કરી શકાય. તમને જણાવી દઈએ કે, વર્ષ ૨૦૧૮થી ૨૦૦૦ની નોટોનું પ્રિન્‍ટિંગ બંધ થઈ ગયું છે. હાલમાં રિઝર્વ બેંકનું ધ્‍યાન માત્ર ૫૦૦ની નોટ છાપવા પર કેન્‍દ્રિત છે.

 

(3:47 pm IST)