મુખ્ય સમાચાર
News of Saturday, 26th May 2018

સરકારી સંપત્તિને નુકશાન પહોંચાડનાર રામ રહીમ સામે હવે દેશદ્રોહનો કેસ ચાલશે

પંચકુલાઃ દેરા સચ્ચા સૌદાના પ્રમુખ રામ રહીમની ધરપકડ બાદ હિંસા ફાટી નીકળી હતી. આ હિંસા દરમિયાન સરકારી સંપત્તિને ભારે નુકશાન થયુ હતું. જેથી રામ રહીમ સામે દેશદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

25 ઓગસ્ટ 2017માં પંચકુલાની સ્પેશિયલ સીબીઆઇ કોર્ટ સમક્ષ ગુરમીત રામ રહીમની ધરપકડ બાદ હિંસા ફાટી નીકળી હતી. જેમાં સરકારી સંપત્તિને ખુબ જ નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. આ તમામ ઘટનાને ધ્યાને રાખી હરિયાણા પોલીસે SITS પંચકુલા કોર્ટમાં સપ્લિમેંટ્રી ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં રામ રહીમને દેશદ્રોહનો આરોપી બનાવવામાં આવ્યો છે.

હિંસાના 10 મહિના બાદ ગુરમીત રામ રહીમને આરોપી બનાવવાના નિર્ણય રાકેશ ઇંસાના નિવેદનો પર લેવામાં આવ્યો છે, રાકેશ પણ ડેરાની કોર કમિટીનો સભ્ય હતો, અને હાલ તે જેલમાં છે, સપ્લિમેન્ટ્રી ચાર્જશીટમાં SITએ દાવો કર્યો કે સાધ્વીઓ સાથે દુષ્કર્મ મામલે ડેરા પ્રમુખે પોતાના વિરુદ્ધ આવનારા કોર્ટના ઓર્ડર પહેલા આદિત્ય ઇંસાને પૂછ્યુ હતું કે પંચકુલાના પ્લાન પર કેવું કામ ચાલી રહ્યું છે. જવાબમાં ઇંસાએ કહ્યું હતું કે બધુ પ્લાન પ્રમાણે છે.

SITનું કહેવું છે કે પંચકુલામાં લાખો લોકોને એકત્રિત કરવાનો પ્લાન ડેરામાં જ થયો હતો. હિંસા ભડકાવવાના પ્રયાસનું ષડયંત્ર કરી રહેલા લોકો રામ રહીમના આદેશો પ્રમાણે જ કામ કરી રહ્યાં હતા, 12 ઓગસ્ટ 2017એ સિરસા ડેરામાં નક્કી થયું હતું કે કોર્ટના ચૂકાદાના દિવસે પંચકુલામાં શું શું કરવાનું છે.

સીટની ચાર્જશીટ પ્રમાણે ગુરમીત રામ રહીમના ખાસ વ્યક્તિ રાકેશ ઇંસાએ નિવેદનમાં જણાવ્યું કે 17 ઓગસ્ટ 2017માં ડેરા સચ્ચા સોદા સિરસામાં 45 સભ્યોની કમિટીની મિટિંગ યોજાઇ હતી, જેમાં નક્કી થયું હતું કે પંચકુલામાં હિંસા ફેલાવવા માટે કોની શું ભૂમિકા હશે, સંપૂર્ણ પ્લાનિંગને ગુરમીતની કહેવાતી પુત્રી હનીપ્રીત અને આદિત્ય ઇંસાને ફાઇનલ કર્યું હતું. પંચકુલા મોકલવામાં આવેલા ટોળાને જણાવવામાં આવ્યું હતું કે ત્યાં સત્સંગ યોજાનાર છે, આવી જ રીતે પંચકુલામાં ડેરાના ઇન્ચાર્જ ચમકોર સિંહ સહિત અનેક લોકોને રૂપિયા એકત્રિત કરવાનું કામ સોંપાયું હતું અને પંચકુલામાં લોકો માટે ખાવા અને રહેવાની સુવિધા કરવાની જવાબદારી પણ ચમકોર સિંહની હતી. લોકોને પંચકુલા પહોંચાડવા માટે અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી.

(6:20 pm IST)