આયરલેન્ડમાં ગર્ભપાત માટેનો પ્રતિબંધ ચાલુ રાખવો કે નહીં ? તે મતદાન આધારે નક્કી થશે
ડબલિનઃ આયરલેન્ડમાં ગર્ભપાતનો કાયદો હળવો કરવો કે નહીં તે અંગે મતદારો ઐતિહાસિક રેફરેન્ડમ માટે મતદાન કરી રહ્યા છે. આ રેફરેન્ડમ દ્વારા એ નક્કી થશે કે પારંપરિક કેથોલિક દેશે યુરોપના કેટલાક કડક ગર્ભપાત અંગેના કાયદો હળવો બનાવવો જોઈએ કે નહીં. વર્તમાન કાયદા મુજબ ગર્ભપાત પર પ્રતિબંધ છે અને તેનું ઉલ્લંઘન કરનારને 14 વર્ષની સજાની જોગવાઈ છે.
ઉલ્લેખનીય છે કે 2012માં 17 સપ્તાહની ગર્ભવતી ભારતીય મૂળની ડેન્ટિસ્ટ સવિતા હલપ્પનાવરનું ગર્ભપાતની મંજૂરી નહીં મળતા મોત થઈ ગયું હતું. ડોક્ટર્સે ધાર્મિક પ્રતિબંધને પગલે સવિતા દ્વારા કરાયેલી અપીલને ફગાવી દીધી હતી. સવિતાના મોતને પગલે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. જો કે આ ઘટના બાદ 2013માં સંશોધન કરીને એક અપવાદનો સમાવેશ કરાયો હતો જેમાં માતા પર જોખમ જણાય તો ગર્ભપાત કરવાની જોગવાઈ છે.
સવિતાના પિતા અદનપ્પા યાલગીએ જણાવ્યું કે, ‘મને આશા છે કે આયરલેન્ડના લોકો મારી દીકરી સવિતાને જનમતના દિસે યાદ કરશે, જે તેની સાથે નબ્યું કોઈ અન્ય પરિવાર સાથે નહીં બને. હું તેના વિશે દરરોજ વિચારું છું. આઠમા સંશોધનને લીધે જે ઉકેલ નિકળ્યો હતો તે તેને ના મળ્યો. તેમણે કાયદામાં બદલાવો કરવો જોઈએ.’
ભારતીય મૂળના વડાપ્રધાન લિયો વરડકર પણ આઠમાં સશોધનને હટાવવાના પક્ષમાં છે અને તેમણે લોકોને જનમતમાં વધુને વધુ ભાગ લેવા અપીલ કરી હતી.
આયરલેન્ડમાં વર્તમાન મહિનાઓમાં જાહેર ચર્ચા વધતા ગર્ભપાત અંગેના કાયદાને હળવા બનાવવાના અભિયાનમાં વેગ જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં 35 લાખ મતદારાઓ આ અંગે નિર્ણય કરશે કે ગર્ભપાત પર બંધારણીય પ્રતિબંધ યથાવત્ રહેવો જોઈએ કે તેને હટાવી લેવો જોઈએ. ચૂંટણી પૂર્વે સર્વેક્ષણમાં એવા સંકેત મળ્યા છે કે પરિણામ ઘણું લગોલગ આવી શકે છે અને હવે જે મતદારોએ પોતાનો નિર્ણય નક્કી નથી કર્યો તેવા લોકોના હાથમાં બધું છે.
આયરલેન્ડ પારંપરિક રીતે યુરોપના સૌથી ધાર્મિક દેશમાં આવે છે. બાળકોના જાતિય શોષણના કિસ્સા પ્રકાશમાં આવ્યા બાદ કેથલિક ચર્ચનો પ્રભાવ ઓછો થયો છે. અગાઉ ત્રણ વર્ષ પૂર્વે આયરલેન્ડમાં સમાન લિંગના લોકો વચ્ચે લગ્નના પક્ષમાં મતદાન થયું હતું. જનમત માટે થયેલા મતોની ગણતરી આવતીકાલે સવારે થશે અને દિવસમાં તેનું પરિણામ જાહેર થાય તેવી સંભાવના છે.