રોજગારી સર્જન મુદ્દે મોદીના કામકાજથી લોકો સંતુષ્ટ રહ્યા
૫૮.૪ ટકા લોકો સરકારના કામકાજથી સંતુષ્ટ : બેરોજગારી ચિંતાનો વિષય ચોક્કસપણે છે પરંતુ સર્વેમાં સામેલ મોટા ભાગના લોકો રોજગારી સર્જન અંગે સંતુષ્ટ
નવી દિલ્હી,તા. ૨૬ : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના ચાર વર્ષ આજે સત્તામાં પૂર્ણ થયા છે. ઓનલાઇન મેગા પોલના પરિણામ પણ જાહેર કરવામાં આવી ચુક્યા છે. પલ્સ ઓફ ધ નેશન નામથી કરવામાં આવેલા સર્વેમાં રોજગારી સર્જનને લઇને પણ મોદી સરકારની કામગીરીથી લોકો સંતુષ્ટ દેખાયા છે. આ અંગે મોદી સરકારને રસપ્રદ પ્રતિક્રિયાઓ હાથ લાગી છે. ટાઇમ્સ ગ્રુપના ઓનલાઇન પોલના કહેવા મુજબ બેરોજગારી ચિંતાનો વિષય તો ચોક્કસપણે છે પરંતુ સર્વેમાં સામેલ રહેલા મોટા ભાગના લોકો રોજગારી સર્જનના ક્ષેત્રમાં કરવામાં આવી રહેલા કામથી સંતુષ્ટ દેખાયા છે. ૨૮.૩ ટકા લોકો માને છે કે બેરોજગારીના મુદ્દે મોદી સરકારની નીતિ ફેલ રહી છે પરંતુ બેરોજગારી ઓછી કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલા અંગે વાત કરતા લોકોએ કબુલાત કરી છે કે રોજગારી સર્જનના ક્ષેત્રમાં પણ સરકાર સક્રિય છે. ૫૮.૪ ટકા લોકો સંતુષ્ટ દેખાયા છે. વર્ષ ૨૦૧૯ની ચૂંટણીમાં બેરોજગારી સૌથી મોટો મુદ્દો બનનાર છે. વિરોધ પક્ષો અને ખાસ કરીને કોંગ્રેસ પાર્ટી દ્વારા બેરોજગારીને લઇને મોદી સરકાર પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી બેરોજગારીનો મુદ્દો જોરદાર રીતે ઉઠાવી રહ્યા છે. આવી સ્થિતીમાં ભાજપને પણ આ મુદ્દે જોરદારી તૈયારી રાખવી પડશે.