૨૦૧૯ માં હિન્દુત્વ અને રામમંદિર છવાઇ જશે
ભાજપ પોતાના મૂળ સિધ્ધાંત હિન્દુત્વ ઉપર ચૂંટણી લડશે : સમય આવ્યે શિવસેના અમારી સાથે જ રહેશે : સુબ્રમણ્યમ સ્વામી
નવી દિલ્હી તા. ૨૬ : ભાજપના આખાબોલા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એક ન્યુઝ ચેનલના કાર્યક્રમમાં કહ્યુ કે ૨૦૧૯ ની ચુંટણી ભાજપા હિન્દુત્વના મુદ્દે જ લડશે.
આ શો ના એંકરે જયારે સ્વામીને પુછયું કે આ લડાઇમાં શિવસેના તમારી સાથે નથી? તો તેનો જવાબ આપતા શ્રી સ્વામીએ કહ્યુ કે શિવસેના અત્યારે અમારાથી ભલે નારાજ હોય પણ તે સમયે અમારી સાથે આવી જશે.
આ શો ના એંકરે સવાલ પુછયો કે તેમની પાર્ટી ૨૦૧૯ માં વિકાસનો મુદ્દો નહી રાખે? ત્યારે જવાબમાં સ્વામીએ માજી પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયી સહીત બીજા પ્રધાનમંત્રીઓના શાસનકાળની ચર્ચા કરતા કહ્યુ કે તેમના વિચાર પ્રમાણે વિકાસનો મુદ્દો બીજા નંબર પર આવે છે. એટલે આ ચુંટણીમાં હિન્દુત્વ જ પહેલો મુદ્દો બનશે.
આ શો માં કોંગ્રેસી નેતા અભિષેક મનુ સિંધવી પણ હાજર હતા. સુબ્રમણ્યમ સ્વામીએ કર્ણાટકની ગઠબંધન સરકારને નિશાન પર લીધી હતી. તેમણે કહ્યુ કે આ સરકાર પાંચ વર્ષ નહીં ચાલે.
શ્રી સ્વામીએ કહ્યુ કે આ વર્ષે રામમંદિર નિર્માણનું કામ શરૂ થઇ જશે એવો તેમને વિશ્વાસ છે. હિન્દુત્વ અને રામ મંદિર એવા મુદ્દાઓ છે જે ચુંટણી આવતા જ બહાર આવી જાય છે.
ઉલ્લેખનીય છે કે ભાજપાએ ગઇ લોકસભા ચુંટણીમાં પણ રામમંદિર મુદ્દાને પોતાના ચુંટણી ઢંઢેરામાં સામેલ કરેલ. ભાજપાએ કાનુની રીતે રામમંદિર બનાવવાની વાત કરી હતી. જો કે રામમંદિર તો નથી બન્યુ પણ એ વાત નકકી છે કે ભાજપા આવતી ચુંટણીમાં આ મુદ્દાને ફરી એકવાર જોરશોરથી ચગાવશે. (૧૬.૧)