મોદી સરકારની સ્વચ્છ છબી લોકો સામે રજૂ કરાશેઃ સાફ નિયત, સહી વિકાસ-નવું સુત્ર આપતા અમિતભાઇ શાહ
નવી દિલ્હીઃ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની આગેવાનીમાં કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા ચાર વર્ષમાં ગયેલા વિકાસકાર્યોની વાત લોકો સુધી લઇ જવા માટે અને કેન્દ્ર સરકારના ચાર વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણીના ભાગરૂપે ભાજપ દ્વારા સાફ નિયત, સહી વિકાસ નામનું નવું સુત્ર જાહેર કરાયું છે તેમ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે જણાવ્યું હતું.
‘બહુત હુઈ મહંગાઈ કી માર, અબ કી બાર મોદી સરકાર’, ‘સુશાસન સંકલ્પ ભાજપા વિકલ્પ’, ‘નહીં સહેંગે ભ્રષ્ટાચાર, અબ કી બાર મોદી સરકાર’, ‘હર-હર મોદી ઘર-ઘર મોદી’ વગેરે જેવા સૂત્રો 2014ની લોકસભા ચૂંટણી વખતે ભાજપ તરફથી આપવામાં આવ્યા હતા. આ વાતને 4 વર્ષ વીતી ગયા છે. 26મેએ નરેંદ્ર મોદીને પ્રધાનમંત્રી બન્યાના 4 વર્ષ પૂરાં થશે. 2019માં ફરી ચૂંટણી આવશે. નવી ચૂંટણી માટે નવા નારાની પણ જરૂર પડશે.
2019ની ચૂંટણી માટે ભાજપે નવું સ્લોગન આપ્યું છે. ‘સાફ નિયત, સહી વિકાસ’ આ નવા નારાને ભાજપના ચાણક્ય ગણાતાં અમિત શાહે આપ્યું. 2014માં ભાજપ સત્તામાં આવ્યા બાદ દર વર્ષે દિલ્હીની અશોકા હોટલમાં મીડિયાકર્મીઓને બોલાવાય છે. અલગ-અલગ ગ્રુપમાં અમિત શાહ મીડિયા સાથે મુલાકાત કરીને સરકારની ઉપલબ્ધિઓ જણાવે છે.
તો આ વખતે પણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે 24મેએ અશોકા હોટલમાં મીડિયાકર્મીઓ સાથે વાતચીત કરી. મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવતાં શાહે નવો નારો આપ્યો- ‘સાફ નિયત, સહી વિકાસ’. આ નારા સાથે મોદી સરકાર પોતાની સ્વચ્છ છબિ લોકો સામે રજૂ કરવા માગે છે. સૂત્રોના મતે, PMOએ દરેક મંત્રાલયને આદેશ આપ્યો છે કે પોતાની સિદ્ધિઓની યાદી તૈયાર કરીને આપવામાં આવે. જે આ સૂત્રને હાઈલાઈટ કરતી હોય.
હવે ભાજપના આ નારા પર લોકો કેટલો ભરોસો કરે છે તે તો 2019ના ચૂંટણીના પરિણામ પરથી જ ખબર પડશે. પરંતુ એ નક્કી છે આ નવા સૂત્ર સાથે ભાજપ દ્વારા 2019ની ચૂંટણી માટેની તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દેવાઈ છે.